અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દધાલીયા ગામના તળાવ નજીક ક્રિષ્ના નર્સિંગ કોલેજની બસ પલટી મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં ANM, GNM અને B.Sc નર્સિંગના આશરે ૩૦ જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. આ તમામ વિદ્યાર્થીઓ દધાલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) વિસ્તારમાં ચાલતી પોતાની પ્રેક્ટિકલ/પોસ્ટિંગ કામગીરી અર્થે જઈ રહ્યા હતા. ત્યારે માર્ગમાં આ અકસ્માત નડ્યો હતો.
મળતી વિગતો અનુસાર, દધાલીયા ગામના તળાવ પાસે સામેથી અચાનક આવી ગયેલી રિક્ષાને બચાવવા માટે બસ ચાલકે કટ મારતાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેને પગલે સંતુલન ગુમાવતાં જ કોલેજની બસ રસ્તા પર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ૪ જેટલા વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકના દધાલીયા PHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. બસમાં ૩૦ જેટલા વિદ્યાર્થીઓ હોવા છતાં સદનસીબે મોટી જાનહાનિ ટળતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.





