મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને વહન કરતા ખનીજ માફિયાઓનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં જ ખાણ-ખનીજ વિભાગના એક પ્રમાણિક અધિકારી પર માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગેરકાયદેસર રીતે રેતી વહન કરતા ડમ્પરો ઝડપી પાડવાની અદાવત રાખીને તત્વોએ રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે ઝપાઝપી કરી જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.
બે દિવસ અગાઉ રાત્રિના સમયે ખાણ-ખનીજ વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન રોયલ્ટી ઇન્સ્પેક્ટર યોગીરાજસિંહ પરમાર અને તેમની ટીમે ગેરકાયદેસર રીતે રેતી ભરીને જતા ત્રણ ડમ્પરોને આંતરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેમને મોટો દંડ ફટકાર્યો હતો. સરકારી તંત્રની આ કડક કાર્યવાહીને કારણે ખનીજ માફિયાઓ ભારે ઉશ્કેરાઈ ગયા હતા.આ કાર્યવાહીની સીધી અદાવત રાખીને બીજા જ દિવસે સવારે માફિયાઓએ ઇન્સ્પેક્ટર યોગીરાજસિંહ પરમારને ઘેરી લીધા હતા. ગોવિંદ ઠાકોર અને સગલા નામના શખ્સો સહિતના ટોળાએ કાયદાનો જરાય ડર રાખ્યા વિના અધિકારીનો કોલર પકડી લીધો હતો અને દાદાગીરી પૂર્વક ગંભીર ધમકીઓ આપી હતી. આ ઝપાઝપી દરમિયાન અધિકારીને બચાવવા માટે વચ્ચે પડેલા એક ખાનગી ડ્રાઇવર પર પણ આ તત્વોએ હુમલો કરી તેને બેરહેમીથી માર માર્યો હતો. આ હિંસક હુમલા બાદ રોયલ્ટી ઇન્સ્પેક્ટર યોગીરાજસિંહ પરમારે તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને પ્રાથમિક સારવાર લીધી હતી. ત્યારબાદ તેમણે આ સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે સરકારી કર્મચારી પર હુમલો અને ફરજમાં રૂકાવટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.





