વિજયનગર તાલુકાના ચામઠણ ગામે વહેલી સવારે જંગલમાંથી આવી ચડેલા હિંસક દીપડાએ ભારે આતંક મચાવ્યો છે. રહેણાંક વિસ્તારની સાવ નજીક ત્રાટકેલા દીપડાએ એક જ પશુપાલક મહિલાના ઘર આગળના વાડામાં ઘૂસીને ચાર બકરીઓનો શિકાર કરતાં સમગ્ર વિસ્તારના રહીશો અને પશુપાલકોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે.
ચામઠણ ગામના પશુપાલક સોનલબેન ઉમેશભાઈ ખરાડી વહેલી સવારે પોતાના પશુઓની સંભાળ લેવા વાડામાં ગયા ત્યારે આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. રાત્રિના અથવા વહેલી સવારના અંધારાનો લાભ લઈને જંગલમાંથી આવેલો હિંસક દીપડો પશુઓ બાંધવાના વંડામાં ત્રાટક્યો હતો. દીપડાએ ત્યાં બાંધેલી બકરીઓ પર હુમલો કરીને ૪ બકરીઓને ફાડી ખાધી હતી. જેમાં ચારેય સ્થળ ઉપર જે મોતને ભેટી હતી. તેમાંથી એક બકરીના મૃતદેહને આ દીપડો ઘસડીને સીમ તરફ ઉઠાવી ગયો હતો.
સવારે વાડામાં બકરીઓના લોહીલુહાણ મૃતદેહો જોઈને સોનલબેન અને પરિજનો સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર ચામઠણ ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે. સીમ વિસ્તારમાં ખેતરોમાં કામ કરવા જતા મજૂરો અને ખેડૂતો હવે એકલા જતાં અચકાઈ રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે દીપડો હવે માનવ વસાહતની સાવ નજીક આવી પહોંચ્યો હોવાથી પશુઓની સાથે નાના બાળકો અને સ્થાનિક લોકોના જીવ પર પણ મોટું જોખમ ઊભું થયું છે.
ઘટનાની જાણ થતાં જ વિજયનગરના આરએફઓ જશપાલસિંહ બારડ દ્વારા તાત્કાલિક વનકર્મીઓની ટીમને ઘટનાસ્થળે મોકલીને બનાવ અંગે રોજકામ (પંચનામું) હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ, હિંસક દીપડાને પાંજરે પૂરવાની સ્થાનિકોની માંગ બળવત્તર બનતાં વન અધિકારી દ્વારા તાકીદની કાર્યવાહી હાથ ધરી ગામની સીમમાં પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરાઈ છે. આ સાથે જ આર્થિક રીતે પાયમાલ થયેલા ગરીબ પશુપાલક સોનલબેન ખરાડીને થયેલા નુકસાનનું વન વિભાગ દ્વારા વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવામાં આવે એવી સરપંચ દાણીયેલભાઈ સહિતના સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.





