પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીના જન્મદિવસ નિમિત્તે ઈડર તાલુકા અને શહેર ભાજપ મંડળ દ્વારા “સેવા પરમો ધર્મ”નો સંકલ્પ ચરિતાર્થ કરાયો
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઈડર તાલુકા અને શહેર ભાજપ મંડળ દ્વારા એક અત્યંત પ્રેરણાદાયી અને માનવતાવાદી સેવાકાર્યનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં “સેવા પરમો ધર્મ” અને *“જનસેવા એ જ જનકલ્યાણ”*ના સંકલ્પને સાકાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તમામ દર્દીઓ તથા તેમના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઈને તેમની કુશળતા પૂછવામાં આવી હતી અને તેમને ફ્રૂટ તથા બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ પર્યાવરણ જતન અને હરિયાળીના સંદેશ સાથે સિવિલ હોસ્પિટલના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ઉપપ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ, તાલુકા મહામંત્રી કેવલભાઈ પટેલ, શહેર મહામંત્રી કૃણાલભાઈ સગર, નગરપાલિકા પ્રમુખ અનસુયાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી દિવ્યાબેન પટેલ, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ જીનલભાઈ સગર સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પાલિકા પરિવારના સભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ભાજપ સંગઠન અને નગરપાલિકાની ટીમ દ્વારા કરાયેલા આ સરાહનીય સેવાકાર્યને હોસ્પિટલ તંત્ર, દર્દીઓ તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા ખૂબ બિરદાવવામાં આવ્યું હતું.





