રાજસ્થાન પેટર્ન મુજબ 400 ટકા વળતર આપવાની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું
ખેડૂતોની માંગણી નહિ સંતોષાઈ તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી
પાટણ જિલ્લાના પાટણ સરસ્વતી,અને ચાણસ્મા તાલુકાના વીજ લાઇન અસર ગ્રસ્ત ખેડૂતોએ જમીનના વળતર મુદ્દે કલેક્ટરને લેખિત રજૂઆત કરી સરકાર સામે બાંયો ચડાવી છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 4 જુલાઈ, 2026 ના રોજ જાહેર કરાયેલા વીજ ટ્રાન્સમિશન ટાવર અને રાઇટ ઓફ વે ના નવા પરિપત્રમાં વર્ષ 2022 થી સતત આંદોલન કરી રહેલા ખેડૂતોની અવગણના કરવામાં આવતા ખેડૂતો મા ભારે અસંતોષ ફેલાયો છે. ખેડૂતોએ વર્તમાન નીતિમાં નક્કી કરાયેલા 200 ટકા વળતરના બદલે રાજસ્થાન સરકારની પોલિસી મુજબ 400 ટકા વળતર ચૂકવવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
પાટણ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પાવરગ્રીડ અને અદાણી જેવી મોટી વીજ ટ્રાન્સમિશન કંપનીઓએ ખેતીલાયક જમીનો પર મોટા પાયે હાઈટેન્શન વીજ લાઇનો,ટાવરો અને થાંભલાઓનું નિર્માણ કર્યું છે. કિંમતી જમીનો પર વીજ માળખું ઊભું થઈ જતાં ખેડૂતો પોતાની જમીનનો ધાર્યો ઉપયોગ કરી શકતા નથી, જેના કારણે તેમને કાયમી આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ગંભીર પ્રશ્નના ન્યાયી ઉકેલ માટે અસર ગ્રસ્ત ખેડૂતો વર્ષ 2022 થી વહીવટી તંત્ર સમક્ષ મૌખિક અને લેખિત લડત ચલાવી રહ્યા છે.આંદોલન દરમિયાન સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને એવી મૌખિક ખાતરી આપવામાં આવી હતી કે સરકાર દ્વારા જે નવો પરિપત્ર બહાર પાડવામાં આવશે, તેમાં અગાઉથી રજૂઆત કરનારા, પેન્ડિંગ કેસ ધરાવતા અને વળતર સ્વીકારી ચૂકેલા તમામ ખેડૂતોને આવરી લઈને ન્યાય અપાશે. જોકે, 4 જુલાઈ, 2026 ના રોજ બહાર પડેલા નવા સરકારી પરિપત્રમાં વર્ષ 2022 થી સંઘર્ષ કરતા આ ખેડૂતોનો કોઈ જ ઉલ્લેખ કે સમાવેશ કરવામાં આવ્યો નથી, જેને પગલે ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાની લાગણી વ્યાપી છે.ખેડૂત અગ્રણીઓએ આ અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જમીનની કિંમતના માત્ર 200 ટકા વળતરની જોગવાઈ છે, જે ખૂબ ઓછી છે.ખાનગી કંપનીઓ આ વીજ લાઇનો થકી આગામી 25 થી 30 વર્ષ સુધી કરોડો રૂપિયાની કમાણી કરવાની છે, તો ખેડૂતોને વન-ટાઇમ વળતર તરીકે 400 ટકા કેમ ન મળે? જો રાજસ્થાન સરકાર પોતાના ખેડૂતોને 400 ટકા વળતર આપી શકતી હોય, તો ગુજરાત સરકારે પણ આ નીતિ અપનાવવી જોઈએ. તેમણે વર્તમાન કોરિડોર નીતિને ગુમરાહ કરનારી ગણાવીને એમઆરસી (MRC) કમિટીની રચના સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.
ખેડૂત પ્રતિનિધિએ જણાવ્યું કે, સરકારના નવા પરિપત્રથી ખેડૂતોની મૂળભૂત માંગણીઓ સંતોષાઈ નથી. વર્ષ 2022 થી જે ખેડૂતોએ તંત્રને સહકાર આપીને કામ કરવા દીધું અને લાઇન ચાલુ થવા દીધી, તે તમામનો આ પરિપત્રમાં સુધારો કરીને સમાવેશ કરવો જ પડશે. ખેડૂત પોતાની જમીનનો માલિક હોવાથી યોગ્ય વળતર મેળવવું તેનો કાયદેસરનો હક છે.જો આ ગાઇડલાઇનમાં તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં ખેડૂતો ન્યાય મેળવવા માટે આરપારની રણનિતિ નક્કી કરશે.





