સાચી નોટોના બંડલમાં 26 નકલી નોટો ઘુસાડી લેણદારને પધરાવી; લેપટોપ-કલર પ્રિન્ટરથી નકલી નોટો છાપનાર સહિત ચાર આરોપી ઝડપાયા
વિસનગરમાં વ્યાજના ધંધા અને શેરબજારમાં થયેલા લાખોના દેવામાંથી બચવા માટે રચાયેલું કાવતરું પોલીસે કડીબદ્ધ તપાસ બાદ ઉકેલી કાઢ્યું છે. નાણાં આપનાર વ્યક્તિઓની પૂછપરછ દરમિયાન સમગ્ર કાવતરાની ચોંકાવનારી ચેઈન સામે આવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે વિસનગરના અવિ ભાખરીયાએ વ્યાજના ધંધા અને શેરબજારમાં લાખો રૂપિયાનું દેવું કરી નાખ્યું હતું. ઉઘરાણીથી બચવા માટે અવિના દાદાએ ઘર ગીરો મૂકી રૂ.15 લાખની વ્યવસ્થા કરી હતી. જોકે, લેણદારોને ચૂકવણી કર્યા બાદ નાણાંની અછત સર્જાતા અવિના મિત્ર જય ગોસ્વામી અને રાધે પટેલે ભેગા મળી નકલી નોટો ચલાવવાનો પ્લાન બનાવ્યો હતો.આ કાવતરાના ભાગરૂપે સાચી નોટોના રૂ.50 હજારના બંડલમાં 26 નકલી નોટો ઘુસાડી લેણદારને આપી દેવામાં આવી હતી. બાદમાં આ નોટો બેંકમાં જમા કરાવવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
પોલીસની તપાસમાં સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વિસનગરના કાજીવાડાનો આદિલ કુંભાર હોવાનું બહાર આવ્યું હતું. આદિલે પોતાના ઘરે લેપટોપ અને કલર પ્રિન્ટરની મદદથી ઇન્ટરનેટ પરથી મળેલી ફર્મનો ઉપયોગ કરી રૂ.500ની બનાવટી નોટો છાપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેણે રૂ.30 હજારની નકલી નોટો રૂ.7 હજારના બદલામાં જય ગોસ્વામીને વેચી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.બેંકમાં નકલી નોટો પકડાઈ જતાં આરોપીઓમાં ગભરાટ ફેલાયો હતો. ત્યારબાદ તેઓ રાજસ્થાન તરફ ભાગી ગયા હતા. અને ત્યાં બાકી રહેલી નકલી નોટો સળગાવી નાખી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વિજાપુર પોલીસે સમગ્ર મામલે ત્વરિત કાર્યવાહી કરી આદિલ કુંભાર, જય ગોસ્વામી, અવિ ભાખરીયા અને રાધે પટેલ સહિત ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.





