વર્ષ ૨૦૧૦ પહેલાં ફરજ પર જોડાયેલા અને બહોળો અનુભવ ધરાવતા પ્રાથમિક શિક્ષકોને શિક્ષક પાત્રતા કસોટી (TET) માંથી રાહત આપવાની માંગ ઉગ્ર બની છે. આ જૂના શિક્ષકોના ભવિષ્યને કાયદાકીય અને નીતિગત સુરક્ષા પૂરી પાડવાના હેતુથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેતૃત્વમાં ગુરુવારે મહેસાણા તેમજ હિંમતનગરમાં શિક્ષકો દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટર મારફતે દેશના વડાપ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણા ખાતે જિલ્લા પંચાયત કચેરીની બહાર ગુરુવારે બપોરે ૩ થી ૫ વાગ્યાના સમયગાળા દરમિયાન શૈક્ષિક મહાસંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ આંદોલનમાં જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ મુકેશભાઈ ચૌધરી, મહામંત્રી અલ્પેશકુમાર લિમ્બાચિયા, સંગઠન મંત્રી પ્રજ્ઞેશભાઈ રાવલ અને પ્રાંત કોષાધ્યક્ષ ચિરાગભાઈ પટેલ સહિતના આગેવાનોની સાથે વિવિધ તાલુકામાંથી આવેલા ૧૦૦૦ કરતાં પણ વધુ પ્રાથમિક શિક્ષકો જોડાયા હતા અને પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.
સંગઠનના પદાધિકારીઓએ પોતાની રજૂઆતમાં સ્પષ્ટ કર્યું હતું કે, ૨૩ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ NCTEની TET અંગેની અધિસૂચના અને તાજેતરમાં ૨૯ મે ૨૦૨૬ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને કારણે દેશભરના લાખો જૂના શિક્ષકોમાં નોકરી અંગે અસુરક્ષા અને ભયનો માહોલ ઊભો થયો છે. આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું કે, TET ફરજિયાત બની તે પૂર્વે તત્કાલીન નિયમો અને યોગ્યતાના આધારે જ આ શિક્ષકોની કાયદેસરની ભરતી થઈ હતી. આ શિક્ષકોએ વર્ષોથી રાષ્ટ્ર નિર્માણ, સામાજિક જાગૃતિ અને વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટે ઉપસ્થિત શિક્ષકોને સંબોધતા જણાવ્યું કે, મહાસંઘ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સંપૂર્ણ આદર કરે છે. પરંતુ, વર્ષોથી સેવા આપતા શિક્ષકોના હિતમાં નીતિગત ઉકેલ લાવવાની સત્તા સંસદ અને કેન્દ્ર સરકાર પાસે છે. તેથી, ૨૩ ઓગસ્ટ ૨૦૧૦ પહેલાના શિક્ષકોની સિનિયોરિટી, બઢતી અને અન્ય સેવાકીય હકો જળવાઈ રહે તે માટે કેન્દ્ર સરકારે વિશેષ કાયદાકીય કે વહીવટી જોગવાઈ કરવી જોઈએ.
હિંમતનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પણ પ્રાંત સહસંગઠન મંત્રી મહેશભાઈ ભટ્ટ, સાબરકાંઠા પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ સંજયભાઈ પટેલ, જિલ્લા મંત્રી નરેશભાઈ પટેલ, ગ્રાન્ટેડ માધ્યમિક આચાર્ય સંવર્ગના ગૌતમભાઈ ભટ્ટ અને માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ મહેન્દ્રકુમાર સી. પટેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર સમક્ષ યોગ્ય હસ્તક્ષેપની માંગ દોહરાવી હતી.





