રખેવાળ
બ્રેકિંગ
મહેસાણા22 જાન્યુઆરી, 2026| Super Admin

કડીના ઈન્દ્રાડ ગામે કેમિકલ કંપનીઓના પાપે વિનાશ નોતર્યો : ખેડૂતોમાં ભારે રોષ

કડીના ઈન્દ્રાડ ગામે કેમિકલ કંપનીઓના પાપે વિનાશ નોતર્યો : ખેડૂતોમાં ભારે રોષ
મહેસાણા જિલ્લો જ્યારે ઔદ્યોગિક દ્રષ્ટિએ સુવિકસતી બન્યો છે ત્યારે કેમિકલ કંપનીઓ દ્વારા બેફામપણે કેમિકલયુક્ત પ્રવાહી અને પાણીની ગંદકી ખુલ્લેઆમ છોડવામાં આવી રહી છે. જેના કારણે પશુપાલકો અને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેવામાં મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા ઇન્દ્રાડ ગામે ખેતરોમાં બોરવેલમાંથી લાલ પાણી નીકળતાં હાહાકાર મચી જવા પામ્યો છે. કેમિકલયુક્ત પાણી બોરવેલમા આવતું હોઈ કેન્સર જેવા ભયંકર બીમારીના ડરથી ગ્રામજનો હિજરત કરવા મજબૂર બન્યા છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઈન્દ્રાડ ગામે છેલ્લા કેટલાય વર્ષોથી કાર્યરત કેમિકલ કંપનીઓના કારણે ભયાનક પર્યાવરણનું સંકટ ઊભું થયું છે. ગામ આસપાસ આવેલી અંદાજે ૧૦ થી ૧૫ કેમિકલ યુનિટોના બેફામ પ્રદૂષણના કારણે જળ અને વાયુ પ્રદૂષણ બેકાબૂ બન્યું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ઈન્દ્રાડ ગામના ખેતરોમાં આવેલા બોરવેલમાંથી લાલ રંગનું દુષિત પાણી નીકળતા લોકોમાં ભયનો માહોલ છે. આ પ્રદૂષિત પાણીના કારણે ખેતી સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે, તો બીજી તરફ પશુપાલન વ્યવસાય પણ ભારે અસરગ્રસ્ત થયો છે. ગાયો-ભેંસો આ પાણી પીવાથી બીમાર પડી રહી હોવાના બનાવો પણ સામે આવ્યા છે. ઇન્દ્રાડના ગ્રામજનોના જણાવ્યા મુજબ, છેલ્લા દસ વર્ષ દરમિયાન ગામમાં કેન્સર, ટીબી સહિતના ગંભીર રોગોના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. અનેક પરિવારોમાં એકથી વધુ સભ્યો ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં ભય અને અસુરક્ષાની ભાવના વ્યાપી ગઈ છે. આરોગ્યને લઈને વધતા જોખમના કારણે કેટલાય પરિવારો ગામ છોડીને અન્યત્ર વસવાટ કરવા મજબૂર બન્યા છે. ત્યારે આ સમગ્ર મામલે ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. ગ્રામજનોનો આરોપ છે કે GPCB અને સંબંધિત કેમિકલ કંપનીઓ વચ્ચે ‘તોડપાણી’ થતી હોવાના કારણે પ્રદૂષણ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. કેમિકલયુક્ત લાલ પાણીથી ત્રસ્ત બનેલા ઇન્દ્રાડ ગ્રામજનોએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે સ્વતંત્ર તપાસ કરાવી દોષિત કેમિકલ યુનિટો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ ગામને શુદ્ધ પીવાનું પાણી અને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે. નહીં તો આવનાર દિવસોમાં ઈન્દ્રાડ ગામ સંપૂર્ણ રીતે ઉજડ બની જશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.  

સંબંધિત સમાચાર