
સિંધિયા આજે ભાજપમાં જોડાય તેવી શકયતા
મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભાજપમાં સામેલ થાય તેવી શકયતા છે. તેમને ભાજપમાં જોઈન કરાવવા માટે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને અમિત શાહ હાજર રહેશે. સિંધિયાએ મંગળવારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. હવે સિંધિયાને રાજ્યસભામાં મોકલવાની તૈયારી છે. તેની જાહેરાત બુધવારે દિલ્હીમાં થશે. કેન્દ્રીય સત્ર બાદ સિંધિયાને કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવવામાં આવશે. કમલનાથ સરકારના 6 મંત્રીઓ સહિત 22 ધારાસભ્યોએ સિંધિયાના રાજીનામાની જાણ થતા જ કોંગ્રેસ છોડી હતી. સિંધિયાના સમર્થક ધારાસભ્યોમાંથી 5થી 7 ને મધ્ય પ્રદેશમાં ભાજપ સરકાર બન્યા બાદ મંત્રી પદ અપાય તેવી શકયતા છે.રાજ્યમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાને લઈને ભાજપે તેના 105 ધારસભ્યોને ભોપલની બહાર રવાના કરી દીધા છે. તેમાંથી 8-8 ધારાસભ્યોનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે. દરેક ગ્રુપમાં લીડર પણ બનાવવામાં આવ્યા છે. તે બધા ધારાસભ્યો પર નજર રાખશે. ધારાસભ્યોને અલગ-અલગ બસોથી દિલ્હી, માનેસર અને ગુડગાંવની હોટલોમાં મોકલવામાં આવશે. બીજી તરફ સિંધિયા સમર્થક ધારાસભ્યો પણ બુધવારે બેંગલુરુથી દિલ્હી જશે. જો ફલોર ટેસ્ટ થયો તો જ ધારાસભ્યો ભોપાલ આવશે, નહિતર તેમને રાજ્યસભા ચૂંટણી(26 માર્ચ)ના સમયે જ ભોપાલ બોલાવવામાં આવશે. બીજી તરફ ભોપાલમાંથી ભાજપના ધારાસભ્યોમાંથી જ કેટલાક મોટા નેતાઓનો દિલ્હી જવાનો સિલસિલો ચાલી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ અને ભાજપાના રાષ્ટ્રીય સેક્રેટરી કૈલાશ વિજયજવર્ગીય દિલ્હી રવાના થઈ ગયા છે.બેંગલુરુમાં રોકાઈ ગયેલા સિંધિયા સમર્થક વિધાયકોએને બુધવારે બેંગલુરુમાંથી દિલ્હી મોકલવામાં આવશે. તેમાં પ્રદુમ્ન સિંહ તોમર, રધુરાજ કંસાના, કમલેશ જાટવ, રક્ષા સરોનિયા, જજપાલ સિંહ જ્જી, ઈમરતી દેવી, પ્રભુરામ ચૌધરી, તુલસી સિલાવટ, સુરેશ ધાકડ, મહેન્દ્ર સિંહ સિસોદિયા, ઓપીએસ ભદૌરિયા, રણવીર જાટવ, ગિરાજ દંડોતિયા, યશવંત જાટવ, ગોવિંદ સિંહ રાજપૂત, હરદીપ ડંગ, મુન્ના લાલ ગોયલ, બ્રિજેન્દ્ર યાદવ સામેલ છે.