
સંક્રમણના ૫૧૨ કેસ અને ૯ લોકોના મોત; પીએમ મોદી આજે દેશને સંબોધિત કરશે,
દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા ૫૦૮ થઈ ગઈ છે, જ્યારે ૯ લોકોના મોત થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૧૦૧ કેસની પુષ્ટી થઈ ચુકી છે. બીજા નંબરે કેરળ છે. સાથે જ મંગળવારે મણિપુરમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે. ૨૩ વર્ષીય સંક્રમિત યુવતી તાજેતરમાં જ બ્રિટનથી પાછી આવી હતી. સંક્રમણને ફેલાવાથી રોકવા માટે ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પુરી રીતે લોકડાઉનની જાહેરાત કરી છે.દેશમાં ચાલી રહેલી મહામારીને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન મોદી આજે દેશને સંબોધિત કરશે. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.
પાંચ રાજ્યોમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. દેશભરમાં લોકડાઉન અને કર્ફ્યૂ લાગુ કરવા માટે પોલીસ રસ્તાઓ પર છે. પોલીસ બેરિકેડિંગ કરીને માત્ર જરૂરી કામો માટે લોકોને અવર જવર કરવા માટેની મંજૂરી આપી રહી છે. દિલ્હીમાં સોમવારે લોકડાઉનના પહેલા દિવસે ઉલ્લંઘન કરવા પર ૧૦૧૨ લોકો પર કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ આંધ્રપ્રદેશ સરકારે કહ્યું છે કે વિદેશથી પાછા આવેલા લોકોની ઓળખ માટે મેડિકલની ટીમો લોકોની ઘરે ઘરે જઈને તપાસ કરશે.
ત્રણ રાજ્યો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાએ તેના ઘણા શહેરોને લોકડાઉન કર્યા છે. દેશના ૫૭૭ જિલ્લા આ દાયરામાં આવે છે. સાથે જ મહારાષ્ટ્ર, પંજાબ, પુડ્ડચેરી અને રાજસ્થાનમાં કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ભોપાલ અને જબલપુરમાં સોમવારે અડધી રાતથી કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. નવા ૨૨ કેસ નોંધાવાની સાથે જો એક્ટિવ કેસ (હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી) ૪૪૬ છે. ૩૬ લોકો સાજા થઈ જતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.