![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/મતદાન-જાગૃતિ-માટે-hed.jpg)
મતદાન જાગૃતિ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પંદર દિવસ સઘન ઝુંબેશનું આયોજન
આગામી 22 એપ્રીલ થી 5 મે સુધી મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું માઇક્રો પ્લાનિંગ કરાયું
જિલ્લામાં સો ટકા મતદાનનો લક્ષ્યાંક પૂર્ણ કરવા તંત્ર કટિબદ્ધ: લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ખર્ચ દેખરેખ નિયંત્રણ સેલના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવેની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત હોલ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે મતદાન જાગૃતિ માટેની મિટિંગ યોજાઈ. લોકશાહીના મહા પર્વમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગિતા વધે એ સુનિશ્ચિત કરવા તંત્ર કટિબદ્ધ બન્યું છે.
જેના ભાગરૂપે જિલ્લામાં આગામી તા. 22 એપ્રીલ થી 5 મે સુધી મતદાન જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા પંચાયત હેઠળના શિક્ષણ, આરોગ્ય, શ્રમ રોજગાર, ઉદ્યોગ, આઇ.સી. ડી .એસ, આરોગ્ય સહિતના તમામ વિભાગોને જોડીને મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમો યોજવા જણાવવામાં આવ્યું. જેના ભાગરૂપે મતદાન માટે અપીલ કરતા ઓડિયો મેસેજ, વિડિયો મેસેજ, જીંગલ્સ, ગીત, રિલ્સ, મેસેજ બનાવી સોશિયલ મીડિયામાં શેર કરવા, બાઈક રેલી, વોકથોન, મશાલ રીલે, પ્રભાત ફેરી, ચુનાવી પાઠશાળા, મહેંદી મૂકવી, રંગોળી પૂરવી, મતદારોની પોતાના પોલિંગ બુથ અંગે જાણકારી આપવી, “હું અવશ્ય મતદાન કરીશ” એવા સંકલ્પ લેવડાવવા, વેપારી મંડળો સાથે, સોસાયટીના પ્રમુખો સાથે મિટિંગ યોજવી, SHG ગ્રુપ સાથે મિટિંગ, જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ માટેનો પ્રસાર પ્રચાર કરી જિલ્લામાં સો ટકા મતદાનનો લક્ષ્યાંક પૂર્ણ કરવા પ્રયાસ કરવામાં આવશે.
વધુમાં ૫૦ ટકા કરતાં ઓછું મતદાન ધરાવતા અને સ્ત્રી પુરુષ મતદાનમાં ૧૦ ટકા તફાવત ધરાવતા બુઠોમાં મિટિંગ કરવી, મતદાનના દિવસે ૭ મી મે એ મતદાન માટે રજા હોઇ દુકાન, મોલ, અને ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારોને રજા આપવી અને તેઓને મતદાન આપવા સમજાવવા , વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો , સેકસ વર્કર્સ સાથે મિટિંગ યોજી મતદાન માટે પ્રેરિત કરવા અને સંવેનશીલ આદિવાસી વિસ્તારોમાં અગ્રણીઓ સાથે મિટિંગ યોજવી એમ વિવિધ પ્રકારે મતદાન માટે જાગૃતિ વધે એવા કાર્યક્રમોનું આયોજન કરવા અને આચારસંહિતા ભંગ ન થાય એ મર્યાદામાં રહીને આયોજન કરવા જિલ્લા ખર્ચ દેખરેખ નિયંત્રણ સેલના નોડલ ઓફિસર એમ.જે દવેએ અનુરોધ કર્યો હતો. અને ઉપસ્થિત તમામ નોડલ ઓફસર્સને મતદાન જાગૃતિ અંગેની કામગીરી સુનિશ્ચિત કરવા સૂચન કર્યું હતું.