
પાલનપુર: પૂર્વ IPS સંજીવ ભટ્ટને હાઇકોર્ટે આપ્યો ઝટકો, જામીન અરજી ફગાવી
પાલનપુરમાં વર્ષ 1996માં રાજસ્થાનનાં વકીલ સામે અફીણનો ખોટો કેસ ઉભો કરવા મુદ્દે, જેલમાં રહેલ ભૂતપૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે સંજીવ ભટ્ટની જામીન અરજી ફગાવી દીધી છે. સુપ્રિમ કોર્ટનાં આદેશથી છ મહિનામાં જો ટ્રાયલ શરૂ ન થાય તો અરજદાર સકસેસિવ જામીન અરજી દાખલ કરી શકે તેના ભાગરૂપે અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદાર સંજીવ ભટ્ટનાં વકીલ શૌરીન શાહે દલીલ કરી હતી કે, પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સંજીવ ભટ્ટ દ્વારા અફીણ પ્લાન્ટ કરવામાં આવ્યું, તે કોઈપણ રીતે સાબિત થતું નથી. ચાર્જશીટમાં પણ સંજીવ ભટ્ટે પાલીની લાંજવતી હોટલમાં પ્લાન્ટ કર્યું તેના કોઈ જ આધાર નથી.સમગ્ર મામલે વર્ષ 2018માં ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ જે.બી. પારડીવાલાના આદેશ બાદ સંજીવ ભટ્ટ વિરૂધ SIT તપાસ કરવામાં આવી હતી. SIT તપાસમાં સંજીવ ભટ્ટનાં કહેવાથી અફીણ લાવવામાં આવ્યું તેવું સામે આવે છે, પરતું તેમાં સાક્ષીઓના નિવેદન સંજીવ ભટ્ટની ધરપકડ થયાના 10 થી 20 દિવસ બાદ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. શાહે વધુમાં દલીલ કરી હતી કે, સંજીવ ભટ્ટ વિરૂધ પાલનપુર NDPS કેસમાં પાલી કોતવલી કેસના 18 આરોપીઓને જોધપુર સ્પેશિયલ કોર્ટની પરવાનગી લીધા વગર આરોપીઓને પાલનપુર કેસમાં સાક્ષી બનાવી દેવામાં આવ્યા છે. સંજીવ ભટ્ટની ધરપકડ બાદ સુપ્રિમ કોર્ટે પાલીમાં નોંધાયેલી પોલીસ ફરિયાદની કાર્યવાહી પર સ્ટે હટાવ્યો હતો.
કેટલાક તથ્યો અને મુદાઓ અગાઉની સુનાવણી દરમિયાન બાકી રહી ગયા એ વાત કાયદાનો દુરૂપયોગ ગણી શકાય અને જો આવી જ રીતે ચાલશે તો કેસની સુનાવણી ક્યારેય પુરી થઈ શકશે નહીં.વર્ષ 1996ના કેસમાં ગુજરાત હાઇકોર્ટે કેસની તપાસ CIDને સોંપ્યા બાદ જેમાં સુમેરસિંહ રાજપુરોહિત પર 1.5 કિલો અફીણ રાખવાના કેસમાં સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. રાજપુરોહિત બનાસકાંઠાના પૂર્વ એસ.પી સંજીવ ભટ્ટ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી.