
નબળી કામગીરીના પગલે થરાદના પીએસઆઈ સસ્પેન્ડ થતાં ખળભળાટ
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ વિધાનસભાની ગત પેટાચુંટણીને લઇને જિલ્લા પોલીસવડાની સુચના મુજબ ગત તા.૧૮/૧૦/૨૦૧૯ના રોજ વિભાગીય પોલીસ અધિક્ષક એસ.કે.વાળા તથા પીઆઈ જે.બી.આચાર્ય તથા પીએસઆઈ એલ.પી.રાણા અને કે.જી.પરમાર સાથે પોલીસ કર્મચારીઓ પીરાભાઇ પરસોત્તમભાઈ, ઉમાજી ભારાજી, દશરથભાઈ હીરાભાઈ, દશરથભાઈ રમેશભાઈ, મહેશભાઇ સવદાસભાઈ, રમેશભાઈ માધાભાઈ તથા જી.આર.ડી.ના સભ્યો ખોડાચેક પો.સ્ટે કામગીરી કરી રહ્યા હતા. દરમ્યાન ટ્રેલર નંબર પીબી૧૧સીજે૪૭૭૯માં ખોટી નંબર પ્લેટ (નંબર પીબી૧૧ સીજે ૪૩૧૧ની) બનાવી તેને સાચા તરીકે ઉપયોગમાં લઈ ચોખાના કટ્ટાની આડાશમાં સંતાડીને લઇ જવાતા ટ્રેલરને અટકાવી તેના ચાલક રૂલધુસિંગ બુટાસીંગ મજબી ઉ.વ-૩૪ શીખ રહે-જવાહરસીંગવાલા તા-નિહાલસિંગ વાલા જીલ્લો- મોગા (પંજાબ)ની અટકાયત કરી હતી. તેમજ પોલીસે પરપ્રાતીય દારૂની બોટલ નંગ ૯૧૫૬ કુલ કિમત રૂ. ૪૬,૫૪,૮૦૦ તથા મોબાઇલ કિ.રૂ. ૫૦૦ તથા ટ્રેલર કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦ તથા બાસમતી ચોખાના કટ્ટાં ૬૩૦ કિ.રૂ ૭,૫૬,૦૦૦ મળી કુલ રૂ. ૬૪,૧૧,૩૦૦ ના મુદ્દામાલ સાથે કબજે લીધો હતો. જેની વધુ તપાસ પીએસઆઈ કે.જી. પરમારે હાથ ધરી હતી.
આ આરોપીનું ચાર્જસીટ ૬૦ દિવસમાં ન કરાતાં આરોપીને જામીન મળ્યા હતા. આથી નબળી કામગીરી મામલે જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ દ્વારા પીએસઆઈને સસ્પેન્ડ કરાયા હતા. આ બનાવને લઇને પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ચાર્જસીટની ૬૦ દિવસની મુદતમાં ૬ દિવસ ખુટતા હતા, ત્યાં જીલ્લા પોલીસવડાના આદેશથી પીએસઆઈ પંજાબ બીજા ગુનાની તપાસમાં ગયા હતા.તેમને ઉપરોક્ત ચાર્જસીટનો ખ્યાલ હતો. અને નિયત સમયમાં પાછા આવી જવાની ગણતરી પણ હતી.પરંતુ બીજી તપાસમાં વધુ દિવસ થઇ જતાં પીએસઆઈ ૬૦મા દિવસના બપોરે આવી જવા છતાં પણ થોડા મોડા પડી જવાના કારણે આરોપીને જામીન મળી ગયા હોવાનું પોલીસ બેડામાં ચર્ચાસ્પદ બન્યું હતું.