સ્વરૂપગંજથી પાલનપુર સારવાર અર્થે આવી રહેલા એક જ પરિવારના 3 સભ્યો ઘાયલ
બનાસકાંઠા જિલ્લાના ઈકબાલ ગઢ નજીક ભડથના પાટિયા પાસે વેગેનઆર કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ સરુપગંજ થી પાલનપુર સારવાર માટે જઈ રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યો અકસ્માતમાં ઘાયલ થયા હતા. અકસ્માત દરમિયાન કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી, જેના કારણે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ પણ ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કામગીરી હાથ ધરી હતી. 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.





