પાલનપુર-ડીસા-ધાનેરા-અંબાજી-લાખણી ખાતે શાંતિયાત્રા યોજાઈ
વૈશ્વિક અધ્યાત્મ સંસ્થા બ્રહ્માકુમારીઝ દ્વારા ગુજરાતભરમાં ૭૦૦ કેન્દ્રોમાં વોક ફોર પીસ શાંતિયાત્રાઓ યોજાઈ. તે સંદર્ભે બનાસકાંઠા જીલ્લામાં ૧૮ શહેરોના સેવાકેન્દ્રો દ્વારા પણ શાંતિયાત્રામાં સેંકડો બ્રહ્માકુમાર ભાઈ બહેનો તથા મહાનુભાવો જોડાયેલ.
બ્રહ્માકુમારીઝ મીડીયા સંયોજક શશીકાન્ત ત્રિવેદીના જણાવ્યાનુસાર વોક ફોર પીસ યાત્રાની શરૂઆત થયેલ. પાલનપુર સેવાકેન્દ્ર સંચાલિકા બ્રહ્માકુમારી ભારતીબેને જણાવેલ કે શાંતિ આત્માનો સ્વધર્મ છે પ્રેમ આનંદ પવિત્રતા શક્તિ સ્વરૂપા માનવ આત્મા પોતાના સ્વધર્મમાં સ્થિત થાય તેની શાંતિયાત્રા દ્વારા સૌને પ્રેરણા આપશે. જેથી રાજયોગા ધ્યાન સાથે વાતાવરણમાં શાંતિ શક્તિ અને ઈશ્વરીય યાદ દ્વારા શુદ્ધતા લાવી માનવ મનોબળમાં વૃદ્ધિ કરી શકાય. પાલનપુરમાં ડેરી રોડ સોસાયટીઓમાં વિશાળ શાંતિયાત્રા યોજાઈ જ્યારે ડીસા ખાતે બ્રહ્માકુમારી સુરખાબેને આધ્યાત્મિક ક્લાસ કરાવી કચ્છી કોલોની વિસ્તારમાં શાંતિયાત્રાને પ્રસ્થાન કરાવેલ સાથે ધાનેરા અંબાજી લાખણી દાંતીવાડા સહિત અનેક નાના મોટા સેવાકેન્દ્રો દ્વારા શાંતિયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાઈને આત્મ શાંતિનો અનુભવ કરેલ.





