રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા8 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુર ફરતે બાયપાસની જમીન માપણીનો વિરોધ જીવ આપીશું પણ જમીન નહિ: અસરગ્રસ્ત ખેડૂતો

પાલનપુર ફરતે બાયપાસની જમીન માપણીનો વિરોધ જીવ આપીશું પણ જમીન નહિ: અસરગ્રસ્ત ખેડૂતો
પાલનપુર હાઇવે પરની ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે સરકારે પાલનપુર ફરતે 26 કિલોમીટર લાંબો બાયપાસ રોડ મંજુર કર્યો છે. જેમાં વધુ પડતી જમીન સંપાદન સામે ખેડૂતો વિરોધ જતાવી રહ્યા છે. ત્યારે આજે ખોડલા ગામમાં જમીન માપણી કરવા ગયેલા તંત્રને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પાલનપુર હાઇવે એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકાર દ્વારા જગાણાથી સોનગઢ સુધી 26 કિલોમીટરનો બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. જો કે, આ બાયપાસ રોડને લઈને છેલ્લા બે વર્ષ થી ખેડૂતો વિરોધ જતાવી રહ્યા છે. ખેડૂતોનું માનીએ તો, બાયપાસ રોડ સામે તેઓનો વિરોધ નથી. પરંતુ તંત્ર દ્વારા 30 મીટરને બદલે 100 મીટરનો બાયપાસ રોડ નીકાળવામાં આવી રહ્યો છે. આ બાયપાસમાં વધુ પડતી જમીન સંપાદન થતા અનેક ખેડૂતો જમીન વિહોણા બની જાય છે. જેને લઈને ખેડૂતોમાં રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે આજે જમીન સંપાદન માટેની માપણી માટે સંબંધિત ડીઆઈએલઆર કચેરી સહિત સંબંધિત તંત્ર પોલીસ કાફલા સાથે ખોડલા ગામે પહોંચ્યું હતું. જ્યાં જમીન માપણી કરી ખૂંટ મારવાની કામગીરી હાથ ધરી હતી. જેની સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. વધુ પડતા જમીન સંપાદનથી ખેડૂતો જમીન વિહોણા બની રહ્યા છે. તો વળી પૂરતું વળતર ન મળતા તેઓ અન્ય જમીન પણ ખરીદી શકતા નથી. જેથી બજારભાવે વળતર આપવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી બાયપાસ સામે વિરોધ જતાવી રહેલા ખેડૂતોનો અવાજ સ્થાનિક તંત્ર સહિત સરકાર સાંભળતી નથી. ત્યારે આજે બળજબરીથી જમીન માપણી શરૂ થતાં રોષે ભરાયેલા ખેડૂતોએ તેને સરકારની તાનાશાહી ગણાવી ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. જીવ આપીશું પણ જમીન નહિ; પાલનપુરમાં ટ્રાફિકની વિકટ સમસ્યાના હલ માટે બાયપાસ મંજુર કરાયો છે. ત્યારે ખેડૂતો બાયપાસને આવકારી રહ્યા છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું હતું કે, બાયપાસ સામે તેઓનો વિરોધ નથી. પરંતુ 30 મીટરની જગ્યાએ 100 મીટર પહોળો રોડ બનાવવા ની હિલચાલથી ખેડૂતોની જમીન કપાતા અનેક ખેડૂતો જમીન વિહોણા બની રહ્યા છે. પાણીના બોર કપાતમાં જઈ રહ્યા છે. ત્યારે ખેતી અને પશુપાલન પર નિર્ભર ખેડૂતો જમીન વગર આજીવિકા ક્યાંથી રળશે? તેવો સવાલ ઉઠાવતા 30 મિટરથી વધુ જમીન સંપાદન સામે ઉગ્ર આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ખેડૂતોના ભોગે વિકાસ નહીં સાંખી લેવાની ચીમકી સાથે જીવ આપીશું પણ જમીન નહીં..!નો હુંકાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર