બનાસકાંઠા: બનાસકાંઠાના સરહદી વિસ્તાર ગણાતા વાવ, સુઈગામ અને થરાદ તાલુકાના ખેડૂતો માટે નર્મદાનું પાણી બંધ થતા "માથે આભ અને નીચે ધરતી" જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉનાળુ સિઝનના અંતિમ તબક્કે જ્યારે પાકને પાણીની સૌથી વધુ જરૂર છે, ત્યારે જ કેનાલોમાં પિયતનું પાણી બંધ કરી દેવાતા હજારો હેક્ટર જમીનમાં ઉભેલો પાક નાશ પામવાની ભીતિ સેવાઈ રહી છે.
પાછોતરી બાજરી પર જોખમ
ખેડૂતોના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે કાળઝાળ ગરમીને કારણે જમીનમાં ભેજ ઓછો છે. ખાસ કરીને પાછોતરી બાજરીના પાકને હજુ 2 થી 3 પિયતની જરૂર છે. જો આ સમયે પાણી નહીં મળે તો બિયારણ, ખાતર અને મજૂરી પાછળ કરેલો હજારો રૂપિયાનો ખર્ચ પાણીમાં જશે. સરકારે અગાઉ દોઢ મહિનાની મુદત વધારી આપી હોવાથી ખેડૂતોએ આશા સાથે વાવેતર કર્યું હતું, પરંતુ હવે પાક તૈયાર થવાના સમયે જ પાણી રોકી દેવામાં આવ્યું છે.
તંત્રનો ખુલાસો: મરામત કામગીરી ચાલુ
આ ગંભીર પ્રશ્ન અંગે થરાદના મુખ્ય નર્મદા ઇજનેર આનંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં કેનાલોમાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જમડા અને રાજસ્થાન બોર્ડર નજીક કામ ચાલતું હોવાથી 21 મે સુધી પાણી બંધ રહેશે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે પીવાના પાણી માટે કોઈ સમસ્યા ન સર્જાય તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.
ખેડૂતોની ઉગ્ર માંગ
સરહદી પંથકના ખેડૂતો એક જ સુર માં કહી રહ્યા છે કે જો તંત્ર 15 મે સુધી પાણી ચાલુ રાખે તો તેમનો મોઢા સુધી આવેલો કોળિયો છીનવાય નહીં. હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોના આર્થિક હિતમાં સરકાર કે નર્મદા નિગમ કોઈ વચગાળાનો રસ્તો કાઢે છે કે કેમ.





