નિઃશુલ્ક સારવારથી યુવક સ્વસ્થ થતા પરિવાર ખુશ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલી પશુપાલકોની પોતાની માલિકીની બનાસ સિવિલ હોસ્પિટલ આરોગ્ય સેવાઓમાં ફરી એકવાર મોખરે રહી છે. અહીં વડગામ તાલુકાના તેનીવાડા ગામના 38 વર્ષીય દિનેશભાઈને સફળ જટિલ સર્જરી દ્વારા નવું જીવન આપવામાં આવ્યું છે.
દિનેશભાઈ છેલ્લા સાત વર્ષથી પેટમાં સતત દુખાવો, 400 થી વધુ ડાયાબિટીસ,પાચનમાં તકલીફ અને કબજિયાત જેવી ગંભીર સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. અગાઉ વિવિધ જગ્યાએ સારવાર છતાં યોગ્ય પરિણામ ન મળતાં તેઓ લાંબા સમયથી પીડા સહન કરી રહ્યા હતા. સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં તપાસ બાદ તેમને અમદાવાદ જવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ આર્થિક પરિસ્થિતિને કારણે પરિવાર માટે તે શક્ય નહોતું.ગત 23 માર્ચે રાત્રિના સમયે તેમને પાલનપુર બનાસ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ તરત જ સારવાર શરૂ કરી અને સર્જરી વિભાગમાં દાખલ કરીને સીટી સ્કેન અને એમઆરઆઈ સહિતની તપાસો કરવામાં આવી.
જેમાં પેન્ક્રિયાસ (સ્વાદુપિંડ) માં સોજો અને પથરી હોવાની પુષ્ટિ થઈ.સાત દિવસ સુધી દવાઓ દ્વારા સોજો ઘટાડ્યા બાદ સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના ડૉ. કલ્પેશ પટેલ, ડૉ. રેખા, ડૉ. સાર્થક, ડૉ. ઋષિ અને એનેસ્થેસિયા ટીમે મળીને “લેટરલ પેન્ક્રિયાટિકો જેજુનોસ્ટોમિ” જેવી અતિ જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી. લગભગ 5 કલાક સુધી ચાલેલી આ સર્જરી સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં બે લાખથી વધુ ખર્ચે કરવામાં આવે છે, પરંતુ અહીં નિઃશુલ્ક કરવામાં આવી હતી.સર્જરી બાદ દર્દીને નોંધપાત્ર રાહત મળી છે. સતત થતો તીવ્ર પેટનો દુખાવો બંધ થયો છે, ખોરાક પચવામાં સુધારો થયો છે, ઊલટી અને અસ્વસ્થતા ઘટી છે તેમજ શરીરમાં તાકાત અને વજનમાં વધારો થયો છે.લગભગ 20 દિવસની સારવાર બાદ દર્દીને રજા આપવામાં આવી હતી અને હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ બની પોતાના રોજિંદા કાર્યોમાં જોડાઈ ગયા છે. દર્દીના પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ સફળ સર્જરી એ સાબિત કરે છે કે બનાસ સિવિલ હોસ્પિટલમાં અદ્યતન અને જીવનરક્ષક સારવાર સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બની રહી છે, જે ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે.





