ભાભર ખાતે ભાજપના નૂતન વર્ષ સ્નેહ મિલનમાં અડધું મંત્રી મંડળ હાજર નડાબેટ ટુરિઝમે સરહદી પંથકને વૈશ્વિક ઓળખ અપાવી : શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર કસોક્સનો ત્રિપાંખીયો ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે ભાભર ખાતે આયોજીત ભાજપના નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત અડધું મંત્રી મંડળ ઉપસ્થિત રહ્યું હતું અને ભાજપના ઉમેદવારને જીતાડવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોંગ્રેસના નકારાત્મક વલણ ઉપર પ્રહારો કરી જણાવ્યું કે ભાજપનો મુળમંત્ર સૌનો સાથ સૌનો વિકાસ છે. તેથી ભાજપના શાસનમાં છેવાડાના ગામોનો પણ વિકાસ થયો છે. વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌને સાથે રાખીને કામ કરે છે. તમામ લોકોએ સાથે મળીને કામ કરવું હોય તો વચ્ચે ક્યાં બીજાની અવશ્યકતા રહે છે? આપણા દેશ પર બધાની નજર છે અને ભારતનો વિકાસ દર બધા દેશો કરતા આગળ છે. ભારત 7 ટકાના વૃદ્ધિ દરથી આગળ વધી રહ્યો છે. આપણું અર્થતંત્ર 11 માં નંબરે હતું તેના પરથી હવે 5 અને હવે 3 નંબર પર આવવાનું છે.






