મેલબોર્ન: ગુરુવારે મેલબોર્નમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ વચ્ચેની વાતચીત બાદ, બંને દેશોએ તેમની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે અનેક મુખ્ય કરારોની જાહેરાત કરી. બંને નેતાઓ સંરક્ષણ, ઊર્જા, વેપાર, સાયબર સુરક્ષા, મહત્વપૂર્ણ ટેકનોલોજી અને સપ્લાય ચેઇન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત થયા હતા.
ભારત અને ઑસ્ટ્રેલિયાએ આ પ્રસંગે આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત માહિતીના આદાનપ્રદાનને વધારવાનો પણ નિર્ણય લીધો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઉર્જા સહયોગને નવી દિશા આપતા, બંને દેશોએ ઓસ્ટ્રેલિયાના યુરેનિયમની ભારતમાં નિકાસનો માર્ગ મોકળો કર્યો છે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે સંયુક્ત પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે બંને દેશોએ 2015ના ભારત-ઓસ્ટ્રેલિયા નાગરિક પરમાણુ સહયોગ કરાર હેઠળ શાંતિપૂર્ણ હેતુઓ માટે યુરેનિયમ નિકાસને મંજૂરી આપતી વ્યવસ્થા પર હસ્તાક્ષર કર્યા છે.





