ચોમાસાની શરૂઆતમાં જ મહેસાણાના હૈદરીચોક વિસ્તારમાં એક જર્જરિત દીવાલ ધરાશાયી થવાથી માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ગોઝારી ઘટના બાદ મહેસાણા મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગીને એક્શન મોડમાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિપકભાઈ પટેલ અને કમિશનર શાલિની દુહાનના સીધા આદેશથી નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ (ટીપી) શાખાની ટીમો દ્વારા શહેરની ભયજનક ઈમારતોનો નવેસરથી સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા પૂર્વે ૨૩૦ જેટલા જોખમી બાંધકામોને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ મોટાભાગના મિલકતધારકોએ કોઈ જ સુરક્ષાત્મક પગલાં લીધા ન હતા. તાજેતરના રિ-સર્વે દરમિયાન ટીમે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું ત્યારે પણ લોકોની આ બેદરકારી છતી થઈ હતી. પરિણામે, કડક વલણ અપનાવીને તંત્રએ સર્વેના પ્રથમ દિવસે જ ૫૦ જેટલા અત્યંત જોખમી બાંધકામોના માલિકોને આખરી અને સખત શબ્દોમાં નોટિસ પાઠવી દીધી છે.
આ આખરી નોટિસમાં મિલકતધારકોને સ્પષ્ટ અલ્ટીમેટમ અપાયું છે કે ૨૪ કલાકની અંદર ઈમારત સંપૂર્ણ ખાલી કરી તમામે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવું. એટલું જ નહીં, બે દિવસમાં નિષ્ણાત એન્જિનિયરની દેખરેખ હેઠળ સેફ્ટી નેટ, બેરિકેટિંગ અને ટ્રાફિકના નિયમોના પાલન સાથે બાંધકામ ઉતારી પાડીને પાલિકામાં ફોટોગ્રાફ્સ રજૂ કરવાના રહેશે. જો આ સૂચનાની અવગણના થશે તો પાલિકા કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ-પાણીના કનેક્શન કાપી નાખશે, બારોબાર ડિમોલિશન કરશે અને તેનો તમામ ખર્ચ માલિક પાસેથી વસૂલશે. તદુપરાંત, આ ઈમારતોને કારણે જો કોઈ જાનહાનિ કે નુકસાન થશે તો મિલકત માલિક સામે સીધી ફોજદારી અને નાગરિક રાહે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.





