ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજા થઈ હતી. બાદમાં તે ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થયો. હવે એવું બહાર આવ્યું છે કે તેને આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો અને તે છેલ્લા ઘણા દિવસોથી ICUમાં છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ જણાવ્યું હતું કે શ્રેયસ ઐયરની હાલત હાલમાં સ્થિર છે અને તેની સારી સંભાળ રાખવામાં આવી રહી છે. BCCI મેડિકલ ટીમ, સિડની અને ભારતના નિષ્ણાતો સાથે પરામર્શ કરીને, તેની ઈજાની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. ભારતીય ટીમના ડૉક્ટર સિડનીમાં શ્રેયસ સાથે રહેશે અને દૈનિક સ્વાસ્થ્ય અપડેટ્સ આપશે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન, શ્રેયસ ઐયર એલેક્સ કેરીનો કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે પડી ગયો અને તેની પાંસળીઓમાં ઈજા થઈ. આ ઘટના દરમિયાન તેને ખૂબ દુખાવો થતો જોવા મળ્યો. બાદમાં તે મેદાન છોડીને ગયો અને વધુ મૂલ્યાંકન માટે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પડી જવા છતાં, ઐયરે કેચ છોડ્યો નહીં. ઈજાને કારણે, શ્રેયસ ઐયરને સ્વસ્થ થવામાં ઘણો સમય લાગી શકે છે. તે પાંચથી સાત દિવસ સિડનીની હોસ્પિટલમાં રહેશે તેવી શક્યતા છે. ફિટનેસ પાછી મેળવ્યા પછી, તે ક્રિકેટના મેદાનમાં પાછો ફરી શકે છે. તે હાલમાં ભારતીય ODI ટીમનો ઉપ-કપ્તાન છે અને ટીમના ODI રોસ્ટરમાં એક મહત્વપૂર્ણ ખેલાડી છે, જ્યારે તે ભારતીય T20 ટીમમાંથી બહાર છે. શ્રેયસ ઐય્યર ભારતીય ટીમ માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યો છે. તેણે ઓસ્ટ્રેલિયન પ્રવાસની બીજી વનડેમાં શાનદાર 61 રન બનાવ્યા હતા. તેણે પહેલી વનડેમાં પણ 11 રન બનાવ્યા હતા, જ્યારે ત્રીજી મેચમાં તેણે બેટિંગ કરી ન હતી. તે છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ ક્રિકેટમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે.
શ્રેયસ ઐયરની ઈજા અંગે BCCIએ મહત્વપૂર્ણ અપડેટ આપ્યું; ભારતની મેડિકલ ટીમ પણ સિડનીમાં તેમની સારવાર કરશે





