મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPL 2026 માં અડધાથી વધુ મેચ રમાઈ ચૂકી છે. વડોદરામાં રમાયેલી મેચમાં ગુજરાતને 61 રનથી હરાવીને RCB પ્લેઓફમાં જગ્યા બનાવનારી પ્રથમ ટીમ બની. હવે પ્લેઓફના બાકીના 2 સ્થાનો માટે ટીમો હજુ નક્કી થવાની બાકી છે, જેના માટે 4 ટીમો વચ્ચે જંગ ચાલી રહ્યો છે. આમાં પણ મુંબઈ ઈન્ડિયન્સ, યુપી અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે કઠિન સ્પર્ધા ચાલી રહી છે, કારણ કે ત્રણેય ટીમોના 4-4 પોઈન્ટ સમાન છે. આવી સ્થિતિમાં પ્લેઓફ માટેની રેસ રોમાંચક બની ગઈ છે. આ દરમિયાન, ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. વાસ્તવમાં, મુંબઈ ઈન્ડિયન્સની સ્ટાર ખેલાડી ગુણલન કમલિની ઈજાગ્રસ્ત છે અને WPL 2026 ની બાકીની મેચોમાં રમી શકશે નહીં. MI એ કમલિની ની ઈજા વિશે વધુ માહિતી આપી નથી. દરમિયાન, ટીમે તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. રસપ્રદ વાત એ છે કે, MI એ વિકેટકીપર-બેટ્સમેન કમલિની ના સ્થાને ડાબા હાથના સ્પિનરને પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે. કમલિની ના સ્થાને વૈષ્ણવી શર્મા ને ટીમમાં સામેલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ઈજાને કારણે સીઝનમાંથી બહાર થતાં પહેલા કમલિની WPL ની વર્તમાન આવૃત્તિમાં 5 મેચ રમી હતી. તેણીએ 5 મેચમાં 77 બોલમાં કુલ 75 રન બનાવ્યા હતા, જેમાં 32 રન તેનો શ્રેષ્ઠ સ્કોર હતો. નવેમ્બરના અંતમાં WPL હરાજીમાં વૈષ્ણવી વેચાઈ ન હતી અને હવે તેને MI દ્વારા ₹30 લાખમાં ખરીદવામાં આવી છે. તે 2025 માં ભારતની ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતી. તેણીએ ભારત માટે 5 T20I રમી છે અને 5 વિકેટ લીધી છે. વૈષ્ણવીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમમાં શ્રીલંકા સામેની T20I સિરીઝમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણીએ પાંચ વિકેટ લીધી હતી, જેમાં બે-બે વિકેટના બે સ્પેલનો સમાવેશ થાય છે. સૌથી અગત્યનું, તેણીએ તે પાંચ મેચોમાં 6.26 ના ઇકોનોમી રેટ સાથે ચુસ્ત બોલિંગ કરી હતી. એ નોંધનીય છે કે MI એ ₹10 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતી કમલિનીને ₹1.60 કરોડમાં ખરીદી હતી. કમલિની ઉપલબ્ધ ન હોવાથી, MI નો એકમાત્ર વિકેટ-કીપિંગ વિકલ્પ રાહિના ફિરદૌસ છે. રાહિના ફિરદૌસે હજુ સુધી WPL મેચ રમી નથી.
ટુર્નામેન્ટની વચ્ચે ખરાબ સમાચાર, આ ખેલાડી બહાર, રિપ્લેસમેન્ટની જાહેરાત





