IPLને ધ્યાને લઈ અમદાવાદ મેટ્રોનો સમય લંબાવાયો, રાત્રિના દોઢ વાગ્યા સુધી દોડશે મેટ્રો
IPLને ધ્યાને રાખી અમદાવાદ મેટ્રોના સમય ફરી લંબાવાયો છે. મુસાફરોની સુવિધાને ધ્યાને રાખી રાત્રિના દોઢ વાગ્યા સુધી મેટ્રો દોડાવવામાં આવશે. હાલમાં સવારે 7થી રાત્રિના 10 સુધીનો મેટ્રોનો સમય હતો. જે લંબાવાની હવે રાત્રિના દોઢ સુધી કરવામાં આવ્યો છે. મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્સ્ટેટેડિયમમાં IPLની 7 મેચ રમાવાની છે. આ મેચ જોવા જનારા લોકોને મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય જાહેર કરાયો છે.
IPL મેચની શરૂઆત 31 માર્ચે થવાની છે. આથી 31 માર્ચથી જ્યાં સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચ ચાલશે ત્યાં સુધી મેટ્રો ટ્રેન સેવા રાત્રિના દોઢ વાગ્યા સુધી શરૂ રહેશે. દર્શકોને આવવા જવામાં હાલાકી ન પડે અને સરળતાથી સ્ટેડિયમ પર પહોંચી શકે તેને ધ્યાને રાખી આ નિર્ણય કરાયો છે.
સાંજે 7 વાગ્યાથી શરૂ થનારી IPL મેચ જોવા આવનારા દર્શકો આ મેચ જોઈને પરત ફરે ત્યારે મેટ્રોની મુસાફરી કરીને તેમના ઘરે પહોંચી શકશે. તે પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યુ છે. આથી સવારના 7 વાગ્યાથી શરૂ થઈને રાત્રે દોઢ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન સેવા શરૂ રહેશે. લોકોને મેચ જોયા બાદ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મોડી રાત્રે પણ મળી રહેશે.
આ અગાઉ ભારત ઓસ્ટ્રેલિયાની મેચને લઈને અમદાવાદ મેટ્રોનો સમય લંબાવાયો હતો. 9 માર્ચે સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો દોડશે. મેટ્રો સ્ટેશન પરથી પ્રવાસીઓને દર 12 મિનિટે ટ્રેન મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 9 માર્ચે પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ મેચમાં સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે 10 થી 13 માર્ચના રોજ મેટ્રો ફરી રાબેતામુજબ 7થી રાત્રીના 10 સુધી દોડશે.