ન્યૂઝિલેન્ડની ટીમ ૧૮ વર્ષમાં પહેલીવાર પાકિસ્તાન પ્રવાસે પહોંચી
ન્યૂઝિલેન્ડની ક્રિકેટ ટીમ ૧૮ વર્ષમાં પહેલી વખત પાકિસ્તાન પ્રવાસે આવી પહોંચી હતી. બાંગ્લાદેશ પ્રવાસ પુરો કરીને પાકિસ્તાન પહોંચેલી ન્યૂઝિલેન્ડની બીજી હરોળની ટીમને બુલેટ પ્રુફ બસમાં એરપોર્ટથી ટીમના ઉતારાની હોટલમાં લઈ જવામાં આવી હતી. ન્યૂઝિલેન્ડે છેલ્લે ૨૦૦૩માં પાકિસ્તાનના પ્રવાસ ખેડયો હતો.
પાકિસ્તાન પ્રવાસે પહોંચનારી ન્યૂઝિલેન્ડની ટીમના સપોર્ટ સ્ટાફમાં શ્રીલંકાનો ભૂતપૂર્વ બેટ્સમેન થિલન સમરવીરા પણ સામેલ છે. વર્ષ ૨૦૦૯માં શ્રીલંકાની ટીમ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમવા માટે જઈ રહી હતી, ત્યારે તેમની ટીમ બસ પર આંતકી હૂમલો થયો હતો. આંતકીના અંધાધૂંધ ફાયરિંગમાં શ્રીલંકાનો બેટ્સમેન સમરવીરા ઘવાયો હતો. તેને જાંઘના ભાગે ગોળી વાગી હતી અને સર્જરી બાદ પુનરાગમન કરતાં તેને ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો. તે ૨૦૧૯થી ન્યૂઝિલેન્ડની ટીમની સાથે જોડાયેલો છે.
શ્રીલંકા પરના આંતકી હૂમલા બાદ મોટાભાગની આંતરરાષ્ટ્રીય ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાનો ઈનકાર કરી દીધો હતો. જે પછી હાંસિયામાં ફેંકાયેલા પાકિસ્તાને તેના ઘરઆંગણાની મેચો યુએઈમાં રમાડવાનું શરૃ કર્યું હતુ.
અગાઉ ન્યૂઝિલેન્ડની ટીમ ૨૦૦૨માં પાકિસ્તાન પ્રવાસે હતી, ત્યારે કરાચીમાં તેમની ટીમની હોટલની બહાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેના પગલે ટીમ પાછી સ્વદેશ પરત ફરી હતી અને ત્યાર બાદ ૨૦૦૩માં પાંચ વન ડે રમવા પાછી આવી હતી. જે આ અગાઉનો તેમનો અંતિમ પાકિસ્તાન પ્રવાસ હતો. ન્યૂઝિલેન્ડ પાકિસ્તાનમાં ત્રણ વન ડે અને પાંચ ટી-૨૦ રમશે.