યાત્રા પ્રતિબંધ અને મોન્સૂનના કારણે આગામી ૪ મહિના સુધી IPL થવાની સંભાવના ઓછી
ગૃહ મંત્રાલયે રવિવારે રાત્રે લોકડાઉનના ચોથા ફેઝ માટેની ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં સ્ટેડિયમ અને સ્પોર્ટસ કોમ્પ્લેક્સને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ ઓછામાં ઓછો ૩૧ મે સુધી ચાલુ રહેશે. આવી સ્થિતિમાં, દેશી અને વિદેશી બંને ખેલાડીઓ મુસાફરી કરી શકશે નહીં. તેવામાં આગામી ૪ મહિના સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) થવાની સંભાવના બહુ ઓછી છે.
BCCI એ એક નિવેદન પણ જારી કરીને જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે ૩૧ મે સુધી હવાઈ મુસાફરી પરના પ્રતિબંધો ચાલુ રાખ્યા છે. આવી સ્થિતિમાં, બોર્ડ ખેલાડીઓને તાલીમ આપવા અથવા ટૂર્નામેન્ટ શરૂ કરવાની ઉતાવળ કરશે નહીં.
બોર્ડના ટ્રેઝરર અરુણ ધૂમલે કહ્યું કે, ખેલાડીઓની સલામતી અમારા માટે મહત્વપૂર્ણ છે. એવો નિર્ણય લેવામાં આવશે નહીં કે જેનથી કોરોના સામે લડાઈમાં ભારતના પ્રયત્નોને અસર થાય.
ભારતમાં મોન્સૂનની સીઝન ૧ જૂનથી ૩૦ સપ્ટેમ્બર સુધી છે. જોકે, આ પદ્ધતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. દેશના મોટાભાગની જગ્યાઓના તે ૧૫ જૂન સુધીમાં સક્રિય થાય છે. આ વખતે પણ કેરળમાં ચોમાસું ૪ દિવસ મોડું થશે. આઈપીએલની વાત કરીએ તો ચોમાસાને જોતાં જૂનથી ઓક્ટોબરના મધ્યમાં ભારતમાં ટૂર્નામેન્ટ થવી લગભગ અશક્ય છે.
ટીમ ઇન્ડિયાએ જૂન-જુલાઈમાં શ્રીલંકા સામે તેમના ઘરે ૩ વનડે અને ૩ ટી ૨૦ શ્રેણી રમવાની છે. આ પછી ઓગસ્ટમાં ઝિમ્બાબ્વે ટૂરમાં ૩ વનડે મેચ રમવાની છે. આવતા મહિને એશિયા કપ પણ યોજાવાનો છે. ભારતીય ટીમ ઓગસ્ટના ત્રીજા અઠવાડિયાથી ૧૫મી નવેમ્બર સુધી વ્યસ્ત રહેશે. આ સમય દરમિયાન, ફક્ત ૭ દિવસનું અંતર રહેશે. જો BCCI આઈપીએલ માટે એકતરફી નિર્ણય લઈને આ શ્રેણીને રદ કરે છે, તો આઈસીસી તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.
આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં T-20 વર્લ્ડ કપ યોજાવાનો છે. આ ટૂર્નામેન્ટ ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર સુધી યોજાશે. જોT-20 વર્લ્ડ કપ સ્થગિત અથવા રદ્દ થાય છે, તો આઈપીએલ નવેમ્બરના અંતથી સંપૂર્ણ ડિસેમ્બર સુધી ચાલશે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની બેઠક ૨૮ મેના રોજ થવાની છે. તે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T-20 વર્લ્ડ કપનું ભાવિ નક્કી કરશે. બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી આ બેઠક પર નજર રાખી રહ્યા છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, અમને દર્શકો સામે રમવાની ટેવ છે. આવી સ્થિતિમાં, જો ત્યાં ચાહકો વિના મેચ હોય, તો પછી તમે જાણતા નથી કે ખેલાડીઓ તેને કેવી રીતે લેશે. પરંતુ વિદેશમાં ટૂર્નામેન્ટ્સ આ રીતે શરૂ થઈ રહી છે.
આઈપીએલની ૮ ટીમોમાં ૧૮૯ ખેલાડીઓ છે. તેમાં ૬૪ વિદેશી છે. હવે તેમના માટે ૩૧ મે સુધીમાં ભારત આવવું અશક્ય છે, કારણ કે દેશમાં તમામ પ્રકારની સ્થાનિક અને વિદેશી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ છે. ઉપરાંત, વિદેશી બોર્ડ તેમના ખેલાડીઓને કોરોના પર કાબૂ મેળવવામાં ન આવે ત્યાં સુધી ભારત આવવાની પરવાનગી આપશે નહિ.
બીસીસીઆઈના ટ્રેઝરરે પહેલા જ કહ્યું છે કે IPL સીધી રદ્દ કરી શકાતી નથી. જો ટૂર્નામેન્ટ રદ કરવામાં આવે તો લગભગ ૩ હજાર કરોડનું નુકસાન થશે.