ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ભારતની આ કંપનીને શા માટે ટાર્ગેટ બનાવવામાં આવી?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે સિરીઝનો પ્રારંભ થઈ ગયો છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પહેલી વન-ડે શુક્રવારે રમાઈ હતી. જેમાં પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. કોરોનાકાળમાં કોઈ ઇન્ટરનેશનલ મેચમાં પ્રેક્ષકોને પ્રવેશ અપાયો હોય તેવી આ પહેલી મેચ છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. એરોન ફિંચ અને ડેવિડ વોર્નરે પહેલી વિકેટ માટે 156 રનની વિશાળ ભાગીદારી નોંધાવી દીધી હતી.
આ મેચમાં પ્રેક્ષકોને એન્ટ્રી મળી તેનો એક ગેરલાભ પણ થયો હતો. ઇનિંગ્સની સાતમી ઓવર નવદીપ સૈની ફેંકી રહ્યો હતો ત્યારે બે પ્રેક્ષક મેદાન પર આવી ગયા હતા. આ બંને પ્રદર્શનકારી હતા. તેઓ પિચ સુધી પહોંચી ગયા હતા અને ત્યાં તેમના હાથમાં બેનર હતું જેમાં લખ્યું હતું કે અદાણીને એક બિલિયન ડોલરની લોન નહીં. આ પોસ્ટર ઉપરાંત દેખાવકારના ટી શર્ટ પર લખ્યું હતું સ્ટોપ અદાણી.
ઉલ્લેખનીય છે કે ગૌતમ અદાણી ભારતના મોટા બિઝનેસમેન છે અને સમગ્ર વિશ્વમાં ઘણા દેશમાં તેમનો બિઝનેસ ફેલાયેલો છે. ઓસ્ટ્રેલિયામાં કોલ માઇન્સમાં તેમને ભારે વિરોધ થયો હતો. આ મહિને એવા સમાચાર આવ્યા હતા કે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અદાણીની એક ઓસ્ટ્રેલિયન માઇનિંગ કંપનીને 5000 કરોડની લોન આપવાનું નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા લોકોનું માનવું છે કે, થર્મલ કોલ માટે થઈ રહેલા ખોદકામથી પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. 2014માં સ્ટેટ બેંકે અદાણીને એક બિલિયન ડોલરની લોન આપવાનો કરાર કર્યો હતો, પરંતુ પાછળથી વિવાદ સર્જાતા આ રકમ આપવામાં આવી નથી.