
ભારતીય ક્રિકેટર કેદાર જાધવના પિતા ગુમ થયા
પુણે, ભારતીય ક્રિકેટર કેદાર જાધવ પોતાના જીવનના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેના વૃદ્ધ પિતા મહાદેવ જાધવ મહારાષ્ટ્રના પુણેથી ગુમ થઈ ગયા છે. કેદાર જાધવે આ અંગે ૨૭ માર્ચએ પુણેના અલંકાર પોલીસ મથકમાં પોતાના પિતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. તે પછી પોલીસે તેના પિતાની શોધખોળ શરૂ કરી દીધી છે. કેદાર જાધવ અને મહાદેવ જાધવ પુણે શહેરના કોથરોડ વિસ્તારમાં રહે છે. ૭૫ વર્ષના મહાદેવ જાધવ ૨૭ માર્ચે સવારે પરિવારમાં કોઈને જણાવ્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. તેમણે સવારે ૧૧.૩૦ કલાકે રિક્ષામાં બેઠા હતા, તે પછી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી.
ફરિયાદમાં જણાવાયું છે કે, મહાદેવ જાધવ ૫ ફૂટ ૬ ઈંચ લાંબા છે. તેમના ચહેરાની ડાબી તરફ ઈજાનું નિશાન છે. તેમણે સફેદ શર્ટ, રાખોડી રંગનું ટ્રાઉઝર, કાળા ચપ્પલ, મોજા પહેરેલા હતા. મહાદેવ જાધવ મરાઠી બોલે છે અને તેમને જમણા હાથની આંગળીઓમાં સોનાની બે વીટીં પહેરેલી હતી. તેની પાસે કોઈ મોબાઈલ નંબર ન હતો. કેદાર જાધવે તેને લઈને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પિતાનો ફોટો અને એક ફોન નંબર પણ શેર કર્યો છે. ૩૮ વર્ષના કેદાર જાધવે વર્ષ ૨૦૧૪માં શ્રીલંકા સામેની વન-ડે મેચથી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું અને ૨૦૧૫મં ઝિમ્બાબ્વે સામે ટી-૨૦માં ડેબ્યુ કરનારો આ પ્લેયર લાંબા સમયથી ટીમની બહાર છે.
૨૦૨૦માં ન્યૂઝીલેન્ડ સામે તેણે છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી. આઈપીએલમાં પણ હવે કોઈ ટીમે તેના પર વિશ્વાસ નથી રાખતી. કેદાર જાધવે ૭૩ વન-ડે મેચ રમી છે, જેમાં તેણે ૪૨.૦૯ની સરેરાશથી ૧૩૮૯ રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ ૧૦૧.૬૦નો રહ્યો છે. તેણે વન-ડે ઈન્ટરનેશનલમાં ૨ સદી અને ૬ અડધી સદી ફટકારી છે. ટી-૨૦ ઈન્ટરનેશનલમાં કેદારે ૨૦.૩૩ની સરેરાશથી ૧૨૨ રન બનાવ્યા છે.