ઈંગ્લેન્ડ સામે પહેલી બે ટેસ્ટમાં દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી નહીં મળે
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મળેલી શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયા હવે ઘરઆંગણે ઈંગ્લેન્ડનો મુકાબલો કરવા માટે આતુર છે.ત્યારે કોરોનાના આગમન બાદ ભારતમાં પહેલી વખત ટેસ્ટ સિરિઝ રમાવા જઈ રહી છે.ભારતના પ્રવાસે આવી રહેલી ઈંગ્લેન્ડની ટીમ ચાર ટેસ્ટ મેચ રમવાની છે.જેમાંથી પહેલી બે ટેસ્ટ ચેન્નાઈમાં રમાશે.જોકે ક્રિકેટ ચાહકો માટે નિરાશ કરનારી વાત એ છે કે,તામિલનાડુ ક્રિકેટ એસોસિએશને બંને ટેસ્ટ માટે દર્શકોને એન્ટ્રી નહીં આપવાનો નિર્ણય કર્યો છે.
આ બંને ટેસ્ટ ખાલી સ્ટેડિયમમાં રમાશે.તામિલનાડુ ક્રિકેટ એસોસિએશને પોતાના સભ્યોને પણ જણાવી દીધુ છે કે, મેચ દરમિયાન સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી અપાશે નહીં.ભારત સરકાર તમામ આઉટડોર ગેમમાં 50 ટકા દર્શકોને એન્ટ્રી આપવાની મંજૂરી આપી ચુકી છે ત્યારે પણ તામિલનાડુ ક્રિકેટ એસોસિએશન આ માટે તૈયાર નથી.એસોસિએશનનુ કહેવુ છે કે,અમે કોઈ જાતનુ જોખમ ઉઠાવીને ખેલાડીઓની સુરક્ષા સાથે રમત કરવા માંગતા નથી.ચેન્નાઈમાં પહેલી ટેસ્ટ પાંચ ફેબ્રુઆરીથી અને બીજી ટેસ્ટ 13 ફેબ્રુઆરીથી રમાશે.
જોકે બીજી બે ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાવાની છે.જ્યાં 20 થી 30 ટકા દર્શકોને એન્ટ્રી આપવા માટેની વિચારણા ચાલી રહી છે.અમદાવાદમાં ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીથી રમાશે.જે ડે-નાઈટ હશે અને આખરી ટેસ્ટ ચાર માર્ચથી આઠ માર્ચ વચ્ચે રમાશે.