ભારત અંતિમ ટેસ્ટ જીતશે તો સતત ૧૩ ટેસ્ટ સિરીઝ જીતવાનો રેકોર્ડ બનાવશે
અમદાવાદ,
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ અમદાવાદમાં ગુરૂવારે શરૂ થશે. ચાર મેચની સિરીઝમાં ભારત ૨-૧થી આગળ છે. ભારત પાસે ટેસ્ટ સિરીઝ જીતવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાનો સોનોરી મોકો છે. ચોથી ટેસ્ટ ડ્રો કરવાથી પણ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી જશે. સાથે ભારતની આ સતત ૧૩ની ટેસ્ટ સિરીઝ જીત હશે.
ઈંગ્લેન્ડ સામે ૨૦૧૨નાં ઘરેલુ ટેસ્ટ સિરીજમાં મળેલી હાર બાદ ભારતે ઘર આંગણે એક પણ ટેસ્ટ રિસીઝ હારી નથી. ૨૦૧૯માં બાંગ્લાદેશને ૨-૦થી હરાવીને ભારતે સતત ૧૨મી ટેસ્ટ સિરીઝ જીતવાનો કિર્તીમાન કર્યો હતો. ભારતે ઈન્દોર ટેસ્ટમાં બાંગ્લાદેશને એક પારી અને ૧૩૦ રને હાર આપી હતી. ત્યાર બાદ કોલકાતા ટેસ્ટમાં પણ ભારતે બાંગ્લાદેશને એક ઈનિંગ અને ૪૬ રનોથી હાર આપી હતી. ભારત બાદ બીજા નંબરે ઓસ્ટ્રેલિયાનું નામ આવે છે, જેમણે ઘર આંગણે સતત બે વાર ૧૦-૧૦ ટેસ્ટ સિરીઝ જીતી છે.
ટીમ ઈન્ડિયાએ પોતાના ઘર આંગણે ૨૦૧૨ની ઈંગ્લેન્ડ સિરીઝ બાદ ૩૭ ટેસ્ટ મેચ રમી છે.તેમાથી ૩૦ ટેસ્ટ મેચ ભારતે જીતી છે અને ૨ ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે ૫ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાના ઘર આંગણે સતત ૧૦ ટેસ્ટ સિરીઝ જીતમાં ૨૭ ટેસ્ટ મેચમાં ૨૦ મેચ જીતી અને ૨માં તેમને હારનો સામનો કરવો પડ્યો છે.