પૂર્વ સ્પિનર બી.એસ.ચંદ્રશેખરને હળવો સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં દાખલ
મુંબઇ,
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ સ્પિન બૉલર બીએસ ચંદ્રશેખરને હળવો સ્ટ્રોક આવ્યા બાદ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જાે કે તેમના પરિવારે સોમવારના જણાવ્યું કે તેમની સ્થિતિમાં સુધારો થયો છે અને કેટલાક દિવસમાં તેમને રજા મળી જશે. ચંદ્રશેખરની પત્ની સંધ્યા ચંદ્રશેખર ભાગવતે કહ્યું કે, “તેમની તબિયતમાં સુધારો થયો છે. તેઓ બુધવાર અથવા ગુરૂવારના ઘરે પરત ફરશે.
૭૫ વર્ષિય ચંદ્રશેખરને થાક અને તેના કારણે ચક્કર આવવાના કારણે શુક્રવારના હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોની સલાહ પર તેમની ન્યૂરોલોજીમાં સારવાર કરવામાં આવી. તેમને એસ્ટર આર.વી. હૉસ્પિટલમાં મેડિકલ યૂનિટમાં રાખવામાં આવ્યા હતા. તેમની પત્નીએ જણાવ્યું કે, હવે તે સામાન્ય વૉર્ડમાં છે અને તેમની ફિઝિયોથેરાપી ચાલી રહી છે.
તેમની પત્ની સંધ્યાએ જણાવ્યું કે, “તેમના મગજમાં કોઈક પ્રકારનું બ્લોક છે. આ ઘણો હળવો સ્ટ્રોક હતો. તેઓ એક અથવા બે અઠવાડિયામાં સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે. કોઈ જીવલેણ બીમારી નથી. તેમના પ્રશંસકોને જણાવી દો કે તેઓ સંપૂર્ણ રીતે ઠીક છે. તે મજબૂત ઇચ્છાશક્તિવાળા છે.