દિલ્હીને ચાર વિકેટથી હરાવીને ચેન્નાઈ નવમી વખત આઇપીએલની ફાઈનલમાં પ્રવેશ્યુ
ધોનીએ આખરી ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકારીને ચેન્નાઈ સુપર કિંગ્સને દિલ્હી કેપિટલ્સ સામેની આઇપીએલ ક્વોલિફાયર વનમાં બે બોલ બાકી હતા ત્યારે ચાર વિકેટથી વિજેતા બનાવ્યું હતુ. આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ નવમી વખત આઇપીએલની ફાઈનલમાં પ્રવેશ્યું હતુ. જ્યારે દિલ્હી કેપિટલ્સને 13મી ઓક્ટોબરે ક્વોલિફાયર-ટુમાં રમવા મળશે. જ્યાં તેમની સામે બેંગ્લોર કે કોલકાતાની ટીમ હશે. ક્વોલિફાયર-ટુની વિજેતા ટીમ ફાઈનલમાં પ્રવેશશે. આઇપીએલની ફાઈનલ 15મી ઓક્ટોબરે રમાશે. આમ મેચ જીતવાના 173ના ટાર્ગેટનો પીછો કરતાં ચેન્નાઈ તરફથી ગાયકવાડે 70 રન તેમજ ઉથપ્પાએ 63 રન નોંધાવ્યા હતા. આમ આખરી ઓવરમાં ચેન્નાઈને જીતવા 13 રનની જરુર હતી. ત્યારે ટોમ કરને પહેલા બોલે મોઈન અલીની વિકેટ ઝડપી હતી. જોકે ત્યારબાદ ધોનીએ સળંગ બે ચોગ્ગા ફટકાર્યા હતા. જે પછી ટોમે વાઈડ બોલ નાંખ્યો હતો. ધોનીએ ચોથા બોલ પર વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો. આ અગાઉ દિલ્હીના ઓપનર પૃથ્વી શોના 60 રન બાદ થયેલા ધબડકામાંથી બહાર આવતા દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આઇપીએલ-14ની ક્વોલિફાયર-વન માં 20 ઓવરના અંતે 5 વિકેટે 172 રન કર્યા હતા. જેમાં કેપ્ટન રિષભ પંતે અણનમ 51 રન ફટકારવાની સાથે હેતમાયર જોડે 83 રનની ભાગીદારી કરતાં ટીમના સ્કોરને પડકારજનક સ્થિતિમા પહોંચાડયો હતો. આમ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ઓસ્ટ્રેલિયન ફાસ્ટર હેઝલવૂડે 29 રનમાં 2 વિકેટ ઝડપી હતી. જ્યારે જાડેજા, મોઈન અલી અને બ્રાવોને 1-1 વિકેટ મળી હતી. ક્વોલિફાયર-વનમાં જીતનારી ટીમ સીધી ફાઈનલમાં પ્રવેશ મેળવશે. જ્યારે હારેલી ટીમને ક્વોલિફાયર-ટુ રમવા મળશે. જેમાં તેની સામે એલિમિનેટરની વિજેતા ટીમ હશે.