સૌરવ ગાંગુલી અને જય શાહના ભાવિનો ફેંસલો સુપ્રીમ કોર્ટના હાથમાં, 9 ડિસેમ્બરે થશે ચુકાદો
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે પરંતુ તેઓ હજી પણ હોદ્દા પર જારી છે કેમ કે તેમણે આ હોદ્દો લંબાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે. હકીકતમાં બીસીસીઆઈના હોદ્દેદારો માટે કૂલિંગ ઓફ પિરિયડને લંબાવવાની બંનેએ અરજી કરેલી છે. હવે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી માટે નવમી ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. નવમીએ આ કેસ કોર્ટ સમક્ષ રજૂ કરાશે.
કૂલિંગ ઓફ પિરિયડ લંબાવવા અરજી
બીસીસીઆઈના વર્તમાન બંધારણ મુજબ તો ગાંગુલી અને જય શાહે બોર્ડ કે કોઈ પણ સ્ટેટ એસોસિયેશનના મળીને કુલ છ વર્ષનો કાર્યકાળ ભોગવી લીધો છે. આમ બંનેએ હવે હોદ્દો છોડી દેવાનો હતો. પરંતુ તેમણે આ કાર્યકાળ અને કૂલિંગ ઓફ પિરિયડ લંબાવાય તે માટે અરજી કરી હતી.
2020માં ગાંગુલી અને શાહનો કાર્યકાળ પૂર્ણ
સૌરવ ગાંગુલીનો કાર્યકાળ જુલાઈ 2020 અને જય શાહનો કાર્યકાળ મે 2020માં પૂર થતો હતો. આ મામલો નવમીએ પૂરો થઈ જાય તેવી શક્યતા છે કેમ કે સુપ્રીમ કોર્ટે પહેલી વાર એવા સંકેત આપ્યા હતા કે તે આ મામલો પૂરો કરવી દેવા ઇચ્છે છે કેમ કે કોરોનાને કારણે આ મુદ્દો મહિનાઓ સુધી લંબાયો છે.