
ODI વર્લ્ડ કપમાંથી ૪ ખતરનાક ખેલાડી બહાર
નવી દિલ્હી, ODI વર્લ્ડ કપ ૨૦૨૩ બહુ દૂર નથી.ICCટૂર્નામેન્ટની ૧૩મી સિઝન ભારતમાં ૫ ઓક્ટોબરથી રમવાની છે. તેમાં કુલ ૧૦ ટીમો પ્રવેશ કરી રહી છે. ૧૯ નવેમ્બર સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં ૪૮ મેચો રમાશે. ચાર ખેલાડીઓ વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન મેળવવાની રેસમાં હતા. એકને ટીમમાં જગ્યા પણ મળી હતી, પરંતુ બાદમાં તેને પડતો મૂકવામાં આવ્યો હતો. અહીં અમે યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસટ્વન, ઈંગ્લેન્ડના જેસન રોય અને ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન વિશે વાત કરી રહ્યા છીએ. આ સિવાય પાકિસ્તાનના વાઇસ કેપ્ટન શાદાબને વર્લ્ડ કપ પહેલા મોટી મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. તેની પાસેથી ટીમની વાઈસ કેપ્ટનશિપ છીનવાઈ શકે છે. શાહીન આફ્રિદીને આ જવાબદારી મળી શકે છે.
BCCIએ સોમવારે મોડી સાંજે ઓસ્ટ્રેલિયા સામેની ૩ મેચનીODIશ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. આમાં સિનિયર બોલર આર અશ્વિનને પણ જગ્યા આપવામાં આવી છે. વર્લ્ડ કપ પહેલા આને મોટા ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યું છે. બીજી તરફ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલની ફરી એકવાર અવગણના કરવામાં આવી હતી. ચહલે ટીમમાંથી બહાર રહેવા પર ઘણી વખત પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન પણ જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તેનો રેકોર્ડ વનડેમાં સૂર્યકુમાર યાદવ કરતા સારો રહ્યો છે. સૂર્યાને એશિયા કપમાં બાંગ્લાદેશ સામે પણ મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. વિશ્વ કપની ટીમમાં સૂર્યકુમાર યાદવ પણ સામેલ છે. ચહલ અને સેમસનને પણ એશિયન ગેમ્સની ટીમથી દૂર રાખવામાં આવ્યા છે. રુતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં યુવા ટીમને ગેમ્સ માટે ચીન મોકલવામાં આવી રહી છે.
ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જેસન રોયને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા વર્લ્ડ કપ માટે જાહેર કરવામાં આવેલી ૧૫ સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રોયને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેના સ્થાને યુવા બેટ્સમેન હેરી બ્રુકનો સમાવેશ કરવામાં આવ્યો છે. બ્રુકે આઈપીએલમાં પણ સદી ફટકારી છે. તે આક્રમક બેટિંગ માટે જાણીતો છે. આ સિવાય ઓસ્ટ્રેલિયન ટીમ પર નજર કરીએ તો માર્નસ લાબુશેન વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવી શકયો નથી.
તાજેતરમાં, તેણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન શાનદાર બેટિંગ કરી હતી. ટ્રેવિસ હેડને હાથમાં ફ્રેક્ચર છે. તે ૨૨ સપ્ટેમ્બરથી ભારત સામેની વનડે શ્રેણીમાંથી પણ બહાર છે, જ્યારે લાબુશેન ટીમમાં છે. આવી સ્થિતિમાં, જો તે શ્રેણીમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહે છે, તો તે ટીમમાં પણ વાપસી કરી શકે છે.
શાદાબ ખાનની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે. પરંતુ એશિયા કપમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શકયો નહોતો. લેગ સ્પિનર શાદાબ ૪૦ની એવરેજથી માત્ર ૬ વિકેટ લઈ શકયો હતો. જ્યારે ભારતના લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું અને ૯ વિકેટ લીધી અને તે ટૂર્નામેન્ટનો પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો. શ્રીલંકાના યુવા સ્પિનર ડુનિથ વેલાલેજે ૧૦ વિકેટ પોતાના નામે કરી હતી. લેગ સ્પિનર અબરાર અહેમદને વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.