
ઈડરના ભેટાલી પાસે STબસની ટક્કરે ત્રણ પશુના મોત : સાત પશુને ઈજા
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ભેટાલી પાટિયા પાસે આજે બપોરના સમયે ઇડર તરફથી આવતી એસટી બસની ટક્કરે રોડ પર પશુઓના ટોળા હડફેટે આવ્યા હતા. જેને લઈને ત્રણ પશુઓના મોત નીપજ્યાં હતા. જ્યારે સાત પશુઓને ઈજાઓ થઇ હતી. જેને લઈને રોષે ભરાયેલા ટોળાએ રસ્તો બ્લોક કર્યો હતો. જેથી જાદર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો અને 1962ને કોલ કરતા ટીમે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત સાત પશુઓની સારવાર કરી હતી. તો જાદર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની વિગત એવી છે કે, ઇડર-હિંમતનગર સ્ટેટ હાઈવે પર રવિવારે બપોરના સમયે હિંમતનગર એસટી ડેપોની અંબાજી-હિંમતનગર લોકલ હિંમતનગર આવી રહી હતી. દરમિયાન ભેટાલી પાટિયા પાસે પશુઓના ટોળુ એસટીની હડફેટે આવ્યું હતું.
જેને લઈને સ્થળ પર 10 ભેંસોમાંથી ત્રણ ભેંસોના મોત નીપજ્યા હતા. જ્યારે સાત ભેંસોને ઈજાઓ થઇ હતી. જેને લઈને રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા રસ્તો બંધ કરી ટ્રાફિક જામ કરવામાં આવ્યો હતો. જે અંગેનો મેસેજ જાદર પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. અકસ્માતની ઘટના અંગે કાર્યવાહી ચાલી રહી છે. તેવું PSO ધામિષ્ઠાબેને ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમજાવટ બાદ રસ્તો ખુલ્યો હતો. સાત ઈજાગ્રસ્ત પશુઓને લઈને 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સને કોલ કરતા તાત્કાલિક તબીબ ડૉ. સ્વીટી પટેલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત 7 ભેંસોને સારવાર આપી હતી.આ અંગે હિંમતનગર એસટી ડેપોના મેનેજર ચેતન પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગર-અંબાજી એસટીની હડફેટે રોડ પર પશુઓ આવી જતા ત્રણ પશુના મોત થયા છે અને સાત પશુઓને ઈજાઓ થઇ હતી. અમારા ડેપોના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા બાદ અકસ્માતની ઘટનાને લઈને જાદર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા છે.