
તલોદના મોહનપુરા પાસે મેશ્વો નદીમાંથી લાશ મળતા ચકચાર મચી
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મોહનપુર-કઠવાડા રોડ પરની મેશ્વો નદીમાં સવારે હિંમતનગરના ભોલેશ્વરના યુવાનની લાશ મળી હતી. મૃતદેહને તખતગઢ સરકારી દવાખાને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે તલોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.હિંમતનગરના ભોલેશ્વરથી પરબડા જવાના રોડ પર રહેતા નટુભાઈ શ્રીમાળીનો 24 વર્ષીય દીકરો વિશાલ બાઈક લઈને બે દિવસ પહેલા નોમના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર જતો રહ્યો હતો. જેને લઈને વિશાલ ઘરે નહિ આવતા પરિવારજનો અને મિત્રોએ શોધખોળ હાથ ધરી હતી. આ અંગે બી-ડિવિઝન પોલીસને પણ જાણ કરી હતી. દરમિયાન તલોદના મોહનપુરાથી કઠવાડા રોડ પર મેશ્વો નદી પરના બ્રીજ નજીક વિશાલની બાઈક રોડ સાઈડે પડી હોવાની જાણ પરિવારજનો અને મિત્રોને ગઈકાલે સાંજે થઇ હતી.
જેને લઈને રાત્રે સ્થળ પર પહોંચ્યા હતા, બાઈક હતી પણ યુવકનો અતોપત્તો મળ્યો નહતો. દરમિયાન બુધવારે સવારે ઓવરબ્રિજ પાસે નદીમાં એક મૃતદેહ તરતો હોવાની જાણ તલોદ પોલીસને થઇ હતી. જેને લઈને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તરતી લાશ બહાર કાઢી હતી. પરિવારજનો અને મિત્રોને આ અંગે જાણ કરવામાં આવતા મૃતદેહની ઓળખ હિંમતનગરના ભોલેશ્વરના બે દિવસ પહેલા ગુમ થયેલા વિશાલ પંડ્યાની થઇ હતી. જેને લઈને પોલીસે મૃતદેહને તખતગઢ સરકારી દવાખાને ખસેડીને પીએમની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે તલોદ પોલીસ સ્ટેશનના PSI(સબ ઈન્સ્પેક્ટર) એ.વી.જોશીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગરના ભોલેશ્વરમાંથી બે દિવસ પહેલા ગુમ થયેલા યુવાનની લાશ મળી છે. તેનું પીએમ કરી તેના પરિવારજનોને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું પ્રાથમિક કારણ છે. આ અંગે તલોદ પોલીસ સ્ટેશનમાં અક્સ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.