કોરનાની સહાય મેળવવા ખોટા દસ્તાવેજો રજૂ કરનારા ચારેય આરોપીઓને સબજેલમાં મોકલાયા
સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશનમાં કોરોનાની 50 હજારની સહાય મેળવવા માટે બોગસ દસ્તાવેજો વડે ખોટી સહાય મેળવવાના કેસમાં ચાર આરોપીને પોલીસે ધરપકડ કરી હતી. બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તો રિમાન્ડ પૂર્ણ થતા ચારેય આરોપીઓને સબજેલમાં મોકલવામાં આવ્યા છે.
તલોદ તાલુકાના છ લાભાર્થીઓએ કોરોનાની રૂ. 50 હજારની સહાય મેળવવા માટે તલોદ મામલતદાર કચેરીમાં ગુજરાત સરકારની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. જે મૃતકોના મોત કોરોનાથી નહીં થયા હોવા છતાં કોરોનાથી મોત થયાનું દર્શાવવામાં આવ્યુ હતુ. આ અંગેના દસ્તાવેજો જે રજૂ કરવામાં આવ્યા હતા તેની પ્રાથમિક તપાસ કરતા જ ખોટી સહાય મેળવવા માટેનુ ષડયંત્ર સામે આવ્યુ હતુ. જેમાં કેન્સર અને આત્મહત્યામાં મોત નિપજ્યુ હોય એવા મૃતકોનું કોરોનાથી મોત થયું હોવાનું ખપાવી સહાય મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
આ સહાય મેળવવા માટે કોરોનાથી મોત નિપજ્યાના સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસરોના ખોટા સહિ સિક્કા સાથેના બોગસ મેડિકલ સર્ટીફિકેટ તૈયાર કરવામાં આવ્યાં હતા. જે અંગે મેડિકલ ઓફિસરો મારફતે પણ ખરાઈ કરવામાં આવતા તે ખોટા હોવાનું સામે આવ્યું હતુ. જેને લઈને તલોદ પોલીસ સ્ટેશનમાં છ લાભાર્થીઓ નાયબ મામલતદારે ફરિયાદ નોંધાવી હતી.
તલોદ પોલીસે કોરોનાની સહાય મેળવવા ખોટા દસ્તાવેજો રજુ કરનારા ચાર આરોપીઓ જેમાં તલોદના નવાવાસના મહેન્દ્રસિંહ અનુસિંહ ઝાલા, નંદાજી ભલાજી સોલંકી, નાણા ગામના હંસરાજસિંહ વિક્રમસિંહ ઝાલા અને નાની સિહોલી ગામના રાજેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલાુની ધરપકડ કરી હતી. અને કોર્ટમાં રજુ કરતા બે દિવસના રિમાન્ડ મળ્યા હતા.
તલોદ પોલીસે તપાસ કરતા મામલામાં ખોટા દસ્તાવેજો વડે બોગસ સહાય મેળવવા માટે દલાલ તરીકે પ્રવિણ શર્મા હોવાનું સામે આવ્યુ હતુ. જેને લઈ હવે પ્રવિણને પોલીસે શોધવાની શરુઆત કરી છે. પ્રવિણ શર્મા વિદેશની આવન જાવન પણ કરતો રહે છે અને તે આખાય કૌભાંડનો મુખ્ય સુત્રધાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં લાગી રહ્યુ છે. જેને લઈ હવે તેને શોધવા માટે કવાયત હાથ ધરી છે. બીજી તરફ ચારેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરતા કોર્ટે સબજેલમાં મોકલવા હુકમ કર્યો હતો.