સાબરકાંઠામાં દર્દીઓ માટે બેડની, ઇન્જેક્શનની વ્યવસ્થા માટે કલેક્ટરે વિવિધ કમિટીઓ બનાવી
કોરોના નિયંત્રણ બહાર જતા સા.કાં. કલેક્ટર એક્શન મોડમાં આવી ગયા છે હિંમતનગર સિવિલમાં દર્દીને દાખલ કરવામાં આનાકાની થતી હોય ઇન્જેક્શનની અછત હોય કે કોરોના વોરિયરના બ્લડ રીલેશનમાં આવતા સગાઓની સારવાર વ્યવસ્થાની સમસ્યા હોય તમામના નિરાકરણ માટે અલગ અલગ કમિટીઓ બનાવી જવાબદારી સોંપવામાં આવી છે અને કમીટી સિવાયના વ્યક્તિ દ્વારા રંજાડ થવાના કિસ્સામાં કાયદેસર કાર્યવાહી કરવાની તાકીદ કરાઇ છે.
સિવિલમાં બેડ ખાલી ન હોવાની ફરિયાદ મળતાં કલેક્ટરની ફટકાર
હિંમતનગર સિવિલમાં કોરોના દર્દીઓ માટે રીઝર્વ રાખવામાં આવેલ બેડ પૂર્ણ રીતે ભરાયેલ ન હોવા છતાં બેડ ભરાઇ ગયા હોવાનું જણાવી દર્દીને દાખલ ન કરતાં હોવા અંગે ફરિયાદ મળતા કલેક્ટરે ફટકાર લગાવી અધિક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદે સી.ડી.એમ.ઓ. અને જિલ્લા આરોગ્ય અધિકારી ત્રણની કમીટી બનાવી દર્દીને દાખલ કરવો કે નહી તેનો નિર્ણય લેવાની જવાબદારી અધ્યક્ષને સોંપી છે અને અધ્યક્ષની પરવાનગી વગર મનાઇ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
કોરોના વોરિયર્સ-પરિજનો સંક્રમિત થાય તો સારવાર માટે 5 સભ્યોની કમિટી
રેવન્યુ, પંચાયત, હેલ્થ, પોલીસ અને અન્ય વર્ગ 1 થી 4 ના સરકારી કર્મચારીઓ અને બ્લડ રિલેશનમાં આવતા તમામ સભ્યો સંક્રમિત થવાના કિસ્સામાં તેમની સારવારમાં જરૂરી ઇન્જેક્શન, દવાઓ, ઓક્સિજન, વેન્ટીલેટર બેડ ફાળવવા સુધીની વ્યવસ્થા માટે કલેક્ટરે અધિક જિલ્લા મેનેજમેન્ટના અધ્યક્ષ પદે ડીવાયએસપી એચક્યુ, સિવિલ સર્જન, જિલ્લા આરોગ્ય અધિકારી, ડેપ્યુ. ડીડીઓની સમીતી બનાવી જવાબદારી સોંપી છે.