
હિંમતનગરમાં ત્રણ ઓવરહેડ પાણીની ટાંકીમાં પાણી ભરવાનું બંધ
હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરના ત્રણ વિસ્તારમાં ત્રણ ઓવરહેડ પાણીની ટાંકી જર્જરિત થવાને લઈને પાણી ભરવાનું બંધ કરવામાં આવ્યું છે. બીજી તરફ પાણીની પાઈપ લાઈનો બદલીને શહેરીજનોને પાણી આપવાના સમયમાં વધારો કરાયો છે અને સમય પણ બદલવામાં આવ્યો છે. હિંમતનગર શહેરના ચાર વોર્ડમાં રોજ સવારે સમય બદલીને સવા કલાક પીવાનું પાણી આપવામાં આવશે. અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં જૂની વાવ પાસે, ટાવર ચોકમાં બગીચા વિસ્તાર અને મહેતાપુરા વિસ્તારમાં બગીચા પાસે આવેલી ત્રણ પાણીની ટાંકીઓમાંથી શહેરના વિવિધ વિસ્તારમાં પીવાનું પાણી આપવામાં આવતું હતું, પરંતુ જર્જરિત થવાને લઈને ત્રણેય પાણીની ટાંકીઓમાં પાણી ભરવાનું બંધ કરવામાં આવ્યું છે. અગામી સમયમાં તેને ઉતારી લેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેને લઈને પાલિકા દ્વારા ત્રણેય પાણીની ટાંકીઓમાંથી પીવાના પાણીની લાઈનમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. શહેરીજનો પાણી આપવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે ઉપરાંત સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હાલમાં પાલિકા વિસ્તારમાં શહેરજનો રોજ સવાર અને સાંજનું 13 MLD પાણી પીવાનું આપવામાં આવે છે.
આ અંગે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ત્રણ પાણીની ટાંકીમાં પાણી ભરવાનું બંધ કરીને લાઈનો બદલવામાં આવી છે. જેને લીઈને પાણીના સમયમાં ફેરફાર સાથે વધારો પણ કરવામાં આવ્યો છે. બીજી તરફ શહેરીજનોને દિવાળીના સમયમાં કોઈ તકલીફના પડે તેને લઈને પાલિકાના પાણી, પુરવઠા, આરોગ્ય સહિતની સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે. રજાઓના સમયમાં પણ સાફ સફાઈ અને પીવાનું પાણી સહિતની સેવાઓ સમયસર મળશે તેને લઈને વિવિધ વિભાગ સાથે ગુરુવારે સાંજે બેઠક યોજીને સૂચનાઓ આપવામાં આવી છે.હિંમતનગર શહેરના પાલિકાના વોર્ડ નં 3, 4, 5 અને 9માં ફેરફાર કરવામાં આવ્યો છે જ્યારે બાકીના વોર્ડમાં રાબેતા સમય મુજબ પીવાનું પાણી મળશે. હિંમતનગરના વોર્ડ નં 3માં આવેલા નવા બજાર, નાની વહોરવાડ, મોટી વહોરવાડ વગેરે વિસ્તારમાં સવારે 6.45 કલાકને બદલે સવારે 8.30 કલાકથી 9.45 કલાક સુધી પાણી એટકે કે સવા કલાક પાણી અપાશે. વોર્ડ નં 4માં આંબાવાડી, શક્તિનગર, બરેલી મિલ વગેરે વિસ્તારમાં સવારે 6.45 કલાકને બદલે સવારે 7.15થી 8.30 કલાક સુધી અને વોર્ડ નં 5 અને 9માં ભોલેશ્વર, વાઘેલાવાસથી ગીરધરનગર, ભાટવાસ વગેરે વિસ્તારમાં સવારે 6.45 કલાકને બદલે હવે સવારે 6 કલાકથી સવારે 7.15 કલાક સુધી પીવાનું પાણી આપવામાં આવશે.