કંજેલી પ્રાથમિક શાળાના શિક્ષક પ્રકાશચંદ્ર સુથારને રાષ્ટ્રપતિ એવોર્ડ
રખેવાળન્યુઝ સાબરકાંઠા : પ્રતિવર્ષ ૫મી સપ્ટેમ્બરે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મદિવસે દેશના શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રીય પુરષ્કાર (રાષ્ટ્રપતિ એવોર્ડ) થી સન્માનિત કરવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની કંજેલી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી પ્રકાશચંદ્ર સુથારની આ એવોર્ડ એનાયત કરવામા આવશે. કોરોના માહામારીને કારણે આ એવોર્ડ સમારોહ વેબિનારના માધ્યમથી યોજાશે. જેમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્રારા દેશના અન્ય ૪૬ શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે.
પ્રકાશચંદ્ર સુથાર વડાલી તાલુકાના એવા પ્રથમ શિક્ષક અને વતની છે, જેમને શિક્ષણક્ષેત્રનો રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તથા આજે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવી સાબરકાંઠા જિલ્લાનુ નામ રાષ્ટ્રીયકક્ષાએ ઝળકાવ્યું છે. તેમણે અમરેલી જીલ્લાના છેવાડાના જાફરાબાદની ટીંબીકન્યા શાળાથી શિક્ષણક્ષેત્રે પદાર્પણ કરી સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાની કેશરગંજ, ચુલ્લા અને કંજેલી જેવા નાનકડા ગામની શાળાઓને ગૌરવવંતી બનાવવા માટેના પ્રયાસો કર્યા છે. તેમના આ પ્રયત્નોએ સરકારી શાળા માટેની લોકોની ઉદાસીનતા દૂર કરવાનું કાર્ય કર્યું છે. શાળામાં માત્ર કર્મચારી બનીને ના રહેતા શાળાને સમાજ વિકાસનું કેન્દ્ર પ્રસ્થાપિત કરવું, છોકરીઓના શિક્ષણ માટેની વાલીઓની ઉદાસીનતા/ઉપેક્ષા દૂર કરવી, શિક્ષણ એટલે પુસ્તકો જ એ માન્યતાને બદલે- શિક્ષણને બાળકોના જગત સાથે જોડવવાનુ ઉમદા કાર્ય કર્યું છે. દરેક બાળક મહત્વનું છે અને અલગ છે – એ બંને બાબતોનો સ્વીકાર કરી શૈક્ષણિક કાર્ય કરવું. શિક્ષણ વ્યવસ્થાને બાળકેન્દ્રી બનાવવી. તેમની શાળાનું સૂત્ર છે.-“વ્યક્તિ ઘડતર દ્વારા શસકત રાષ્ટ્રનું નિર્માણ”.અહિ વિદ્યાર્થીએ ભાવી નાગરિક હોવાથી તેમના વ્યક્તિ ઘડતરમાં પૂર્ણ શ્રદ્ધા રાખી કાર્ય કરે છે. છેવટે વ્યક્તિ બદલાય તો જ રાષ્ટ્ર બદલાય એ વાતમાં પુરા વિશ્વાસ સાથે કાર્ય કર્યું છે. વિજ્ઞાન વિષય કાર્યને આઈ આઈ એમ –અમદાવાદ દ્વારા ”સર રતન ટાટા ઇનોવેટીવ ટીચર એવોર્ડ”થી પ્રમાણિત અને સન્માનિત કરાયું છે આ સિવાય ચિત્રકૂટ એવોર્ડ, પ્રો.પી.એ.પંડ્યા બેસ્ટ સાયન્સ ટીચર એવોર્ડ, બેસ્ટ પ્રેકટીસીસ ટીચર’, ‘ગુરૂ ગૌરવ એવોર્ડ’, અને ૨૦૧૮નો શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ મેળવી નામના મેળવ્યા બાદ આજે રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થઈ જિલ્લાનુ નામ રોશન કર્યું છે.