હિંમતનગર શહેરના મહેતાપુરામાં જ્વેલર્સ ઘરમાં 1 કરોડથી વધુની મત્તાની ચોરી
હિંમતનગર શહેરના મહેતાપુરામાં બુધવારે મળસ્કે સાડા ત્રણેક વાગ્યે જાનમાં ગયેલ જ્વેલર્સ પરિવાર પરત આવતા ઘરમાં ચોરી થયાની જાણ થતા હતપ્રભ બની ગયો હતો. 1 કરોડથી વધુની મત્તાની ચોરી થવાની ચર્ચાઓ વચ્ચે એસ.પી. સહિતના પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. બી ડિવિઝન પીએસઆઈ એ.વી. જોશીએ જણાવ્યું કે 25 લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત અંદાજે 75 લાખની મતાની ચોરી થયાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરાઇ છે.
હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં રહેતા મનીષભાઇ મોહનલાલ સોનીના પરિવારમાં લગ્ન પ્રસંગ હોઇ મંગળવારે મળસ્કે બે – અઢી વાગ્યે જાન લઇને ગયા હતા. બુધવારે મળસ્કે સાડા ત્રણેક વાગ્યે કેટલાક લોકો વહેલા ઘેર પહોંચ્યા હતા. અને મુખ્યધ્વારનું તાળુ ખોલી ઘરમાં પ્રવેશતા બધો સામાન વેર વિખેર પડેલો જોઇ ચોરી થયાનો અંદાજ આવી જતા હતપ્રભ થઇ ગયા હતા. ત્રણ પરિવારના મકાન એક જ લાઇનમાં છે જેમાં એક ભાઇના ઘેર તસ્કરો ત્રાટક્યા હતા.
તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળુ તોડવાને બદલે ત્રીજા માળે ચઢી ગયા હતા અને ધાબામાં હવા ઉજાસ માટે મૂકેલ જાળી કાપીને નીચે ઉતરી બધા દરવાજા ખોલી સામાન ફેંદતા નીચે ઉતર્યા હતા. અને ગ્રાઉન્ડ ફ્લોર પર મૂકેલી તિજોરીની ચાવી શોધી તેમાં હાથ અજમાવી સોનુ ચાંદી રોકડની ચોરી કરી સીફત પૂર્વક ઘરની બહાર નીકળી ગયા હતા.