
હિંમતનગર નજીક ધાંણધા જંગલમાં વન કવચમાં ધારાસભ્યએ વૃક્ષારોપણ કર્યું
હિંમતનગરના ધાણધા ખાતે હિંમતનગરથી ઇડર હાઇવે રોડ પર હિંમતનગર GIDC વિસ્તારની પાછળ આવેલા ધાણધા જંગલ વિસ્તારમાં સાબરકાંઠા વન વિભાગ હિંમતનગરની ક્ષેત્રિય રેન્જ રાયગઢ દ્વારા સામુહિક વન નિર્માણ યોજના અંતર્ગત વન કવચ વિકસાવવામાં આવેલા છે. જેને હિંમતનગરના ધારાસભ્યએ ગુરુવારે રિબિન કાપી ખુલ્લું મુક્યું છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતને વધુ હરિયાળુ બનાવવાના હેતુથી ગુજરાત વન વિભાગ દ્વારા વન કવચ બનાવવાનું આયોજન હાથ ધરેલું છે. જેનાથી ઝડપી વન ઉભા કરવા માટેની પધ્ધતિ વિકસાવવામાં આવેલી છે. જેના ભાગરૂપે ધાણધા વન કવચ ખાતે ગુરુવારે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલું હતું. આ પ્રસંગે સાબરકાંઠા નાયબ વન સંરક્ષક હર્ષ જે. ઠકકર, મદદનીશ વન સંરક્ષક વનરાજસિંહ આર.ચૌહાણ, રાયગઢ પરિક્ષેત્ર વન અધિકારી અનિરૂધ્ધસિંહ એમ.સિસોદીયા, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલભાઇ ઉપાધ્ધાય, હિંમતનગર તાલુકા પંચાયત ઉપ-પ્રમુખ હિતેશભાઇ પટેલ, ધાણધા ગામના ગ્રામજનો, ક્ષેત્રિય રેન્જ રાયગઢનો ફોરેસ્ટ સ્ટાફ તેમજ રોજમદારો ઉપસ્થિત રહ્યા હતા.
હિંમતનગર તાલુકાના ધારાસભ્ય દ્વારા ધાણધા વન કવચ ખાતે વાવેતર કરવાના પ્રસંગે વૃક્ષોની વૃદ્ધિ બાબતે ખૂબ જ બહોળી પ્રશંસા કરવામાં આવી હતી. તો એક હેકટરમાં ત્રણ માસના સમયમાં જ 10,000 વૃક્ષોનું વાવેતર કરી જરૂરી માવજત પુરી પાડી તંદુરસ્ત વૃદ્ધિ તેમજ વિકાસવાળા વનનું નિર્માણ થયેલી હોવાથી ક્ષેત્રિય રેન્જ રાયગઢના ફોરેસ્ટ સ્ટાફની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી.આ વન કવચથી નિર્માણ પામેલા વન જિલ્લા મથક હિંમતનગર નજીક આવેલા હોવાથી નગરજનો તેમજ અંબાજી હાઇવે પરથી પસાર થનાર યાત્રાળુઓ માટે વિરામ સ્થળ બની રહેશે. સાથે વન કવચમાં 75થી વધુ જાતના વૃક્ષો જેવા કે ઔષધીય, ફળાઉ, ગૌણવન પેદાશ ધરાવતાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે. તેમજ વન નિર્માણથી પ્રકૃતિપ્રેમીઓ પણ આ વન કવચનો ભરપૂર આનંદ માણી શકશે અને પ્રકૃતિને પામી શકશે તેવી આશા વ્યકત કરી હતી.