એક વિધવા મહિલાએ પાપ છુપાવવા બાળકને જન્મ આપી ત્યજી દીધુ હોવાનું આવ્યું સામે
રખેવાળન્યુઝ સાબરકાંઠા : પોશીનાના ગણવાના જંગલમાંથી ચાર દિવસ અગાઉ ઘાયલ હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. બનાવને પગલે પોશીના પોલીસે નવજાતને સારવાર માટે ખસેડી તેને જન્મ આપનારને શોધવા ઠેર ઠેર તપાસ આદરી હતી. દરમિયાન પોલીસે આ ગુનો ઉકેલી તો નાખ્યો હતો પરંતુ પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. એક વિધવા મહિલાએ પોતાનું પાપ છુપાવવા બાળકને જન્મ આપ્યા બાદ ત્યજી દીધી હોવાનું સામે આવ્યું હતું. ૭ વર્ષ અગાઉ પતિના મૃત્યુ બાદ નણંદના દિકરા સાથે મહિલાને પ્રેમ સંબંધ બંધાયો હતો. આ સંબંધમાં વિધવા મહિલાને ગર્ભ રહી જતાં બાળકનો જન્મ થયો હતો. સમાજના ડરથી મહિલાએ બાળકને જંગલમાં ફેંકી દીધુ હતું. પોશીનાના ગણવા ગામેથી પોલીસે વિધવા મહિલાની નવજાત શિશુ ત્યજી દેવાના ગુનામાં ઝડપી લીધી છે. ચાર દિવસ અગાઉ ગણવાના જંગલમાથી નવજાત શિશુ મળી આવ્યું હતું.
નવજાત ઘાયલ હાલતમાં હોય પોલીસે ફુલ જેવા બાળકને હિંમતનગર અને બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડી દીધુ હતું. દરમિયાન નવજાતને કોણે ત્યજી દીધું તેની શોધખોળ પોલીસે હાથ ધરી હતી. પોલીસની જુદી જુદી ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં તપાસ કરાતાં ગણવા ગામે એક મહિલાની તાજેતરમાં પ્રસુતિ થઈ હોવાનું સામે આવતાં તેના ઘરે જઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ પુછપરછમાં જે વિગતો બહાર આવી તે સાંભળીને પોલીસને પણ પરસેવો વળી ગયો હતો. આ મહિલાનો પતિ ૭ વર્ષ અગાઉ મૃત્યુ પામ્યો હતો. બાદમાં વિધવા મહિલાને તેના નણંદના દિકરા અમરત મશરુ પારઘી (રહે.ઘઉપીપળા, રાજસ્થાન) સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો.
આ પ્રેમ સંબંધમાં વિધવા મહિલા ગર્ભવતી થઈ હતી અને પુરા મહિને બાળક અવતરતાં સમાજના ડરના કારણે બંનેએ ભેગા થઈ બાવળની ઝાળીમાં ફેકી દીધુ હતું. આ હકીકત સામે આવતાં પોલીસે વિધવા મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ૭ વર્ષ અગાઉ પતિના મોત થયા બાદ પણ મહિલાએ અનૈતિક સંબંધો બાંધી પુત્રને જન્મ આપ્યો હતો. આ માસુમ બાળકને કોઈપણ પ્રકારના વાંક ગુના વગર સજા આપી મરવાના વાંકે ફેંકી દેવામાં આવ્યું હતું. મહિલાને તેના પતિથી જ છ સંતાનો છે તેમ છતાંય અનૈતિક સંબંધો બાંધતા અને છેલ્લે પેટના જણ્યાને જ ઝાળી ઝાંખરામાં ફેંકી દેતાં ચકચાર મચી છે.