હિંમતનગરના ભોલેશ્વરમાં એક રાતમાં સાત બંધ મકાનના તાળા તૂટ્યા
હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં તસ્કર ટોળકી શનિવારે રાત્રે ત્રાટકી હતી. કામખ્યાં અને બોરેસા બાગ સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને એક પછી એક ઘરને નિશાન બનાવી સાત બંધ મકાનના તાળા તોડયા હતા. શિયાળાની રાત્રે તાળા તૂટવાનો અવાજ પણ મીઠી નીંદરમાં ના સંભળાયો તો પોલીસના પેટ્રોલિંગ પણ ન પારખી શક્યું. તસ્કરોનો પગરવ તો કામખ્યાં સોસાયટીમાં એક પછી એક એમ પાંચ બંધ મકાનના તાળા તસ્કરોએ તોડયા હતા અને સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી. તો બીજી તરફ બોરેસાબાગ પાર્કમાં તસ્કરોએ બે બંધ મકાનને નિશાન બનાવ્યા હતા. જેમાં એક મકાનમાં ચોરી થઈ હતી તો બીજા મકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો હતો.
એક રાત્રે બંધ મકાનના તાળા તૂટ્યા અને ચોરીની ઘટના અંગે સવારે ખબર પડતાં બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી. તપાસ માટે બી-ડિવિઝન પોલીસ સાથે ડોગ સ્કોર્ડ અને એફએસએલ ઘટનાસ્થળે પહોંચી હતી અને તસકરોનું પગેરું શોધવાની તપાસ હાથ ધરી હતી. જિલ્લામાં ચોરીની વારદાત વધતા બે દિવસ પહેલા વડાલી નગર અને તાલુકામાં ચોરીની ઘટનાઓ અટકાવવા, પોલીસ પોઇન્ટ, પેટ્રોલિંગ માટે તાલુકા પંચાયત, નગરપાલિકા અને સરપંચ એઓસીએસન દ્વારા પીએસઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.