
હિંમતનગરમાં વિજયાદશમી પર્વને લઈને 3 કિમી પથ સંચલન માર્ગ પર અલગ સ્થળે ધારાસભ્ય સહિત સ્થાનિકોએ સ્વાગત કર્યું
હિંમતનગરના મહેતાપુરામાં વિસ્તારમાં વિજયાદશમી પર્વને લઈને આજે સાંજે RSS દ્વારા પથ સંચલનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પથ સંચલન વિસ્તારમાં ત્રણ કિમી માર્ગ પર યોજાયું હતું. જેમાં ધારાસભ્ય, સાંસદ, સ્થાનિકો સહિત ભાજપાના કાર્યકરોએ ફૂલડાંથી સ્વાગત કર્યું હતું.આ અંગેની વિગત એવી છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ની સ્થાપના 1925માં વિજયાદશમીના દિવસે થયેલી આ સંસ્થા દેશભક્તિના વિચારો સાથે હિન્દુત્વને મજબૂત કરવા તેમજ દેશના અને દુનિયાના લોકોને આપત્તિ સમયે મદદ કરતી સૌથી મોટી સંસ્થા છે. દેશની સંસ્કૃતિને બચાવવા આ સંસ્થા કાર્ય કરે છે. દેશમાં વિજયાદશમીના પર્વ પ્રસંગે તમામ નાના-મોટા શહેરોમાં સંઘના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશ સાથે સંઘના બેન્ડ સાથે શિસ્તબધ્ધ રીતે પથ સંચલન યોજાય છે. ત્યારે શનિવારે સાંજે હિંમતનગર શહેરના NG સર્કલથી આજરોજ પથસંચલનનો કાર્યક્રમ યોજાયો.
સ્વામી વિવેકાનંદ સર્કલથી મહાકાલી મંદિર થઈને બ્રહ્માણીનગર વિસ્તાર,પ્રાથમિક શાળાના માર્ગ પર થઈને બગીચા આગળ થઈને રામજી મંદિર સર્કલથી સ્વામી વિવેકાનંદ સર્કલ થઈને પરત NG સર્કલએ પથ સંચલન પૂર્ણ થયું હતું. આ ત્રણ કિમીના માર્ગ પર સ્વામી વિવેક્નંદ સર્કલ પાસે સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ, હિંમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલા સહિત ભાજપના કાર્યકરો તેમજ સ્થાનિકોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું હતું. ઉપરાંત પાંચથી વધુ સ્થળ પર સ્થાનિકોએ પુષ્પવર્ષા કરી હતી. 35 મિનિટમાં ત્રણ કિમીનું પથ સંચલન પૂર્ણ થયું હતું. પથ સંચલનને લઈને બી-ડિવિઝન પોલીસ સ્ટાફે માર્ગ પર સાથે રહીને ટ્રાફિકનું સંચાલન કર્યું હતું.