
હિંમતનગરમાં વિવિધ વિસ્તારમાં પાંચ દિવસના ગણેશજીનું વિસર્જન કરાયું
હિંમતનગરમાં વિવિધ વિસ્તારમાં ગણેશ ચતુર્થીએ ગણેશજીના સ્થાપન બાદ પાંચ દિવસે ભક્તોએ વાજતે ગાજતે અબીલ ગુલાલની છોડો ઉડાડી અગલે બરસ તું જલદી આના નાદ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું.હિંમતનગરના બેરણા રોડ પર ઉમિયાનગર સોસાયટીના રહીશો ગણેશ ચતુર્થીએ વાજતે ગાજતે ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશજીની સ્થાપના કરી હતી. દરરોજ રાત્રે પૂજન અર્ચન અને આરતી કરવામાં આવતી હતી. ત્યારે શુક્રવારે રાત્રે રહીશોએ એક સાથે 108 દિવડાઓની સમૂહ આરતી કરી હતી અને શનિવારે પાંચ દિવસ પૂર્ણ થતા સોસાયટીમાં પાણીના કુંડમાં ગણેશજીનું વિસર્જન કર્યું હતું.જ્યારે હિંમતનગરના બ્રાહ્મણીનગરમાં ગણેશ યુવક મંડળ દ્વારા નવરાત્રી ચોકમાં લાલબાગ ચા રાજા ગણેશજીની અઢી ફૂટની પ્રતિમાનું વાજતે ગાજતે સ્થાપન કર્યા બાદ સ્થાનિકો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. શનિવારે શોભાયાત્રા સાથે લાલ બાગ કા રાજાને વિદાય આપી હતી. ધાણધા પાસે હાથમતી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
હિંમતનગરની નવી સિવિલ હોસ્પીટલમાં સ્ટાફ ક્વાર્ટસમાં કર્મચારીઓ દ્વારા માટીના અઢી ફૂટના ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દરરોજ રાત્રે પૂજન અર્ચન બાદ આરતી કરવામાં આવતી હતી અને ત્યારબાદ સિવિલના કર્મચારીઓ ગરબે ઘૂમ્યા હતા. શનિવારે સિવિલના કેમ્પસમાં વિસર્જનની શોભાયાત્રા નીકળી હતી. હિંમતનગરના દેરોલ પાસે સાબરમતી નદીમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.હિંમતનગરના રામનગર સોસાયટીમાં રહેતા વિપુલભાઇ ભટ્ટના નિવાસ સ્થાને શનિવારે રાધાઅષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાપૂજા તેમજ ભક્તિ સંધ્યાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. રાધાઅષ્ટમીના પવિત્ર દિવસે ભગવાનને શણગાર કરવામાં આવ્યા હતા. ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.