હિંમતનગર પાલિકા પ્રમુખે સબપોસ્ટ ઓફિસ ન ખસેડવા માટે રજૂઆત કરી
હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં સ્ટેશન રોડ સબ પોસ્ટ ઓફિસ શહેરથી દૂર ભોલેશ્વરમાં ખસેડવાની હિલચાલ શરૂ થતાં પાલિકા પ્રમુખે ચીફ પોસ્ટ માસ્તર જનરલ ગુજરાત સર્કલને લેખિતમાં જાણ કરી છે કે સબ પોસ્ટ ઓફિસ અન્યત્ર ખસેડાશે તો શહેરીજનોને સમસ્યા સર્જાવા સહિત હેેડ પોસ્ટ ઓફિસમાં કામકાજનું ભારણ વધી જશે જેના કારણે મોટી સમસ્યા સર્જાશે. પાલિકા પ્રમુખ યતીનબેન મોદીએ ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્તર જનરલને લેખિતમાં જાણ કરી છે કે પોસ્ટ ઓફિસની આજુબાજુમાં તા.પં., ઇરીગેશન કચેરી, જમીન વિકાસ બેંક, નાગરિક બેંક, યાર્ડ, જિલ્લા સંઘ, સરકારી – અર્ધ સરકારી કચેરીઓ, જેવા મોટા વ્યાપારીક સંકુલો, દુકાનો વગેરે છે જે રજીસ્ટર્ડ ટપાલો, પાર્સલ, સ્પીડ પોસ્ટ જેવી પોસ્ટની સેવાઓનો લાભ લે છે. લોકો નિયમિત પણે લાઇટબીલ, ગેસબીલ, ટેલીફોન બીલ ભરવા આવે છે. તેમજ સ્થાનિકોએ ડીપોઝીટો પણ મૂકી છે. આ પોસ્ટ ઓફિસ શહેરથી દૂર ભોલેશ્વર ખસેડાશે તો ટપાલો, પાર્સલ વગેરે ખાનગી કુરિયર પાસે જશે અને પોસ્ટને નાણાંકીય નુકસાન થશે, તદ્દપરાંત સીનીયર સીટીઝનોને હેડ પોસ્ટ ઓફિસ સુધી જવુ પડશે અથવા પોસ્ટના ખાતા બંધ કરવા પડશે. હાલમાં સબ પોસ્ટ ઓફીસની સુવિધાનો લાભ લેતા વ્યક્તિઓ પૈકી અડધા ગ્રાહકો પણ હેડ પોસ્ટ ઓફીસમાં જશે તો કામકાજનું ભારણ વધી જશેે.