તલોદમાં સસરાના ત્રાસથી પુત્રવધૂનો આપઘાત
તલોદમાં બે દીકરીઓની માતા એવી 26 વર્ષીય પરિણીતાએ નઠારા સસરાની હરકતો અને અડપલાથી તંગ આવી જઈ શનિવારે સાંજે ઘરમાં જ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું હતું. મોતને વ્હાલું કરતાં પહેલા યુવતીએ સ્યુસાઇડ નોટ લખી સસરાની કરતૂતોનો ચીઠ્ઠો ખોલી નાખતા સૌ કોઈએ ફિટકાર વરસાવ્યો હતો.
પ્રભુલાલ ભંવરલાલ લખારા (રહે. શંભુપુરી કી ઘાટી હિરણનગરી સેક્ટર 6 ઉદેપુર)ની દીકરી સુનીતાબેન ઉર્ફે સરિતાબેનના લગ્ન તલોદ ખાતે રહેતા ધર્મેન્દ્રકુમાર સ/ઓ મીઠાલાલ મીયારામ લખારા સાથે થયા હતા. અને તેમને એક ચાર વર્ષની અને બીજી પાંચ માસની દીકરી હતી. સુનીતાબેન અવારનવાર તેમના માતા પિતાને ફરિયાદ કરતા હતા કે તેમના સસરા ખરાબ નજરે જુએ છે. અને કંઈક કહેવા જાય તો ઝઘડો કરે છે. તા. 06/04/22ના રોજ સુનીતાબેન તેમના પતિ સાથે પિયરમાં ગયા હતા. ત્યારે પણ આ ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તા.10/05/22ના રોજ મીઠાલાલ આવ્યા ત્યારે તેમને પણ સમજાવ્યા હતા કે અમારી દીકરીની ભૂલ વાંક હોય તો અમને જણાવજો તેને અમે સમજાવીશું. તમે તેને ત્રાસ ન આપશો કહી ઠપકો કર્યો હતો.