હિંમતનગરમાં 150 CC ઉપરના 200થી વધુ બાઇકનું બુકિંગ
7 ઓક્ટોબર ગુરુવારથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે અને સાથે જ બજારમાં તેજી જોવા મળનાર છે ત્યારે ઓટો સેક્ટરમાં પણ નવરાત્રીના પ્રારંભે વિક્રેતાઓના ચહેરા ખીલી ઉઠ્યા છે અને એકમથી દશેરા સુધીમાં ટૂવ્હીલરનુ મહત્તમ વેચાણ થવાની આશા સેવાઇ રહી છે. બજારમાં તેજી – મંદી તહેવારો અને દિવસો પર આધારિત રહે છે. રક્ષાબંધન બાદ નવરાત્રીના પ્રારંભથી બીજો તબક્કો શરૂ થઇ રહ્યો છે. વાહન ખરીદી માટે લોકો સપરમા દિવસની રાહ જોતા હોય છે.
ટુવ્હીલર ઓટો સેક્ટરમાંથી મળતી માહિતી અનુસાર દસ દિવસ દરમિયાન મહત્તમ વેચાણ થવાની સંભાવના છે. તાઇવાન અને ચીનથી આવતી ચીપના સપ્લાયમાં ખેંચ હોવાથી 150 સીસીથી ઉપરથી રેન્જમાં 15 દિવસથી એક મહિનાનું વેઇટીંગ ચાલે છે. હિંમતનગરમાં 150 સીસીથી ઉપરના 200 થી વધુ બાઇકનું બુકીંગ થયું છે.
150 સીસીથી ઓછી ક્ષમતાના સ્કૂટર, બાઇકનું પણ મહત્તમ વેચાણ થવાની સંભાવના છે. હિંમતનગર શહેરના ઓટો ડીલર નલીનભાઇ પટેલે જણાવ્યુ કે ચીપને કારણે સપ્લાય ઓછો છે જેને કારણે વેઇટીંગ છે પરંતુ વિક્રેતાઓએ બુકીંગને નજર સમક્ષ રાખી સ્વાભાવિક રીતે જ અગાઉથી વ્યવસ્થા રાખી છે નવરાત્રીના તહેવારો વિક્રેતાઓમાં નવો જૂસ્સો ઉમેરશે.