
હિંમતનગરના દુર્ગા બજારમાંથી ચોરીના બે મોબાઈલ સાથે યુવાન ઝડપાયો
હિંમતનગરના ડી-માર્ટમાંથી થોડાક દિવસ પહેલા ચોરી કરેલા મોબાઈલ સહિત બે ચોરીના મોબાઈલ સાથે યુવાનને એલસીબીએ ઝડપી લીધો હતો. બીજી તરફ ઇડર સદાતપુરા પાસે આવેલા અરવિંદ ત્રિવેદી (લંકેશ)ના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરના મંદિરમાં રહેલ ભગવાન શ્રી રામની મૂર્તીનો ચાંદીનો મુગટ અને પાદુકાની ચોરી કરી નાસી ગયા હતા.
છેલ્લા કેટલાક દિવસથી ઇડર તાલુકામાં ચોરોએ તરખાટ મચાવ્યો છે અને ચોર ટોળકી દિવસ અને રાત્રી દરમ્યાન બંધ મકાન, એટીએમ મશીન, બાઈક ચોરીને અંજામ આપી પોલીસ અને લોકોની ઊંઘ ઉડાડી દીધી છે. ત્યારે શુકવારના રાત્રી દરમ્યાન ઈડરના સદાતપુરા પાસે અરવિંદ ત્રિવેદી (લંકેશ)ના અન્નપૂર્ણા નામના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાનો નકુચો, તાળું તોડી ઘરની અંદર પ્રવેશ કરી ઘરમાં રાખેલ શ્રી રામ ભગવાનની મૂર્તિનો ચાંદીનો મુગટ અને પાદૂક ચોરી પલાયન થયા છે. જે અંગે ઈડર પોલીસને જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
એલસીબી પી.એસ.આઇ. એસ.જે.ચાવડા સ્ટાફના અમરતભાઇ, પ્રહર્ષકુમાર, અનિરૂધ્ધસિંહની ટીમ શુક્રવારે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પ્રહર્ષકુમાર તથા અમરતભાઇને સંયુકત રીતે બાતમી મળી હતી કે, વાદળી કલરનો ડિઝાઇનવાળો શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ એક શખ્સ હિંમતનગર ડિ-માર્ટ મોલમાંથી મોબાઇલની ચોરી કરીને દુર્ગા બજાર પાસે તેને વેચવાની ફિતરતમાં છે. જેને લઈને સ્થળ પર પહોંચી તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ પિયુષ જયંતિલાલ જાદવનો હોવાનું જણાવ્યું હતુ અને તેની પાસેથી બે મોબાઇલ મળી આવ્યા હતા. પુછપરછ કરતા જણાવ્યું હતું કે, થોડાક દિવસ પહેલા મોતીપુરા ડિ-માર્ટ મોલના લન્ચ રૂમના લોકરમાંથી સાંજના સમયે બે મોબાઇલની ચોરી લીધા હતા. જે અંગે પોલીસે તપાસ કરતા હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરી અંગેની ફરિયાદ નોંધાઇ હતી. પિયુષ જયંતિલાલ જાદવની રૂપિયા 18 હજારની કિંમતના બે મોબાઇલ સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.